![]()
– અમેરિકા દ્વારા અપાઈ રહેલી ચેતવણી : ભારતે સાવધ રહેવાની જરૂર
– અમેરિકાએ ભારત સહિત વિશ્વભરમાં ખતરા સમાન પાક.ના પ્રતિબંધિત 12 આતંકી સંગઠનોના નામ સહિતની વિગતો જાહેર કરી
– પાક.માં આતંકી ઘટનાઓમાં 2019માં 365 લોકો માર્યા ગયા હતા, ગયા વર્ષે મૃત્યુઆંક ચાર હજારને પાર ગયો
– શિયા મુસ્લિમોને નિશાન બનાવવા વિશેષ સંગઠનો તૈયાર કરાયા, બલુચિસ્તાન, ખૈબરમાં સૌથી વધુ હુમલા
વોશિંગ્ટન : પાકિસ્તાન હજુ પણ આતંકી સંગઠનોનો અડ્ડો છે, પાકિસ્તાન આ આતંકી સંગઠનોનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી રહ્યું છે આ ખુલાસો અમેરિકાની સરકારના કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ સીઆરએસ દ્વારા કરવામાં આવ્યો છે. ભારત પર હુમલા કરી ચુકેલા આ આતંકી સંગઠનોના ખાતમાના નામે પાકિસ્તાન દ્વારા અનેક ઓપરેશન ચલાવવામાં આવ્યા છે જોકે તેમ છતા આ સંગઠનો મોટા પ્રમાણમાં પાકિસ્તાનની ધરતી પર સક્રિય છે. પાક.માં વર્ષ ૨૦૧૯માં આતંકી ઘટનાઓમાં ૩૬૫ લોકો માર્યા ગયા હતા જે સંખ્યા ગયા વર્ષે વધીને ચાર હજારને પાર જતી રહી છે.
અમેરિકન સરકારના સીઆરઅસનો આ રિપોર્ટ ૨૫ માર્ચ ૨૦૨૬ની સ્થિતિ મુજબનો છે, જેમાં વધુમાં ખુલાસો કરતા જણાવાયું છે કે હાલ પણ પાકિસ્તાન આતંકવાદનું મથક છે, હાલ પણ અનેક હથિયારધારી સંગઠનો સક્રિય છે, કેટલાક આતંકી સંગઠનો તો ૧૯૮૦ના સમયથી પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ચાલી રહ્યા છે.
પાકિસ્તાનમાં સક્રિય આ આતંકી સંગઠનોના ટાર્ગેટ ક્યા ક્યા દેશો કે સ્થળો છે તેની વિગતો પણ અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.
જેમ કે કેટલાક આતંકી સંગઠનો માત્ર અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે, જ્યારે કેટલાક સંગઠનો ભારતના અન્ય ભાગોમાં કે જમ્મુ કાશ્મીરમાં હુમલા કરવા સક્રિય છે.
કેટલાક આતંકી સંગઠનો માત્ર પાકિસ્તાનની અંદર જ હુમલા કરી રહ્યા છે. જેમાં શિયા મુસ્લિમો પણ નિશાન બનાવવામાં આવતા હોય છે. રિપોર્ટ મુજબ ૧૫માંથી ૧૨ એવા આતંકી સંગઠનો છે કે જે કટ્ટરવાદી ઇસ્લામિક વિચારધારા સાથે જોડાયેલા છે અને અમેરિકાના કાયદાઓ મુજબ તેને ફોરેન ટેરેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જાહેર કરવામાં આવ્યા છે.
પાક.ના આતંકીઓનો મુખ્ય ટાર્ગેટ જમ્મુ કાશ્મીર
અમેરિકાના આ રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોમાં મોટાભાગના એવા છે કે જેનો મુખ્ય ટાર્ગેટ ભારતનું જમ્મુ કાશ્મીર છે, આવા સંગઠનોમાં લશ્કર-એ-તોયબાનો સમાવેશ થાય છે જેની સ્થાપના ૧૯૮૦ના સમયમાં કરવામાં આવી હતી. આ સંગઠન મુખ્યત્વે પાકિસ્તાનના પંજાબ અને કબજાવાળા કાશ્મીરમાં સક્રિય રહ્યું છે. ૨૦૦૮ના મુંબઇ હુમલા માટે પણ પાકિસ્તાનનું જ આ આતંકી સંગઠન જવાબદાર હોવાની કબુલાત અમેરિકાના આ રિપોર્ટમાં કરવામાં આવી છે.
અન્ય સંગઠનોમાં જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-જિહાદ ઇસ્લામી, હરકત-ઉલ-મુજાહિદિન, હિઝબુલ મુજાહિદીન વગેરેનો સમાવેશ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ સંગઠનો ગમે ત્યારે હજુ પણ ભારત પર હુમલા કરી શકે છે.
વૈશ્વિક સ્તરે ખતરનાક સંગઠનો પાક.માં ઃ રિપોર્ટ
સીઆરએસના રિપોર્ટમાં પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, આ એવા સંગઠનો છે કે જે માત્ર ભારત જ નહીં વૈશ્વિક સ્તરે ખતરનાક માનવામાં આવે છે. આ સંગઠનોમાં અલ-કાયદા ટોચના સ્થાને છે જેની સ્થાપના ૧૯૮૮માં ઓસામા બિન લાદેન દ્વારા કરવામાં આવી હતી. લાદેનને ઠાર માર્યાને આટલા વર્ષો વીતી ગયા છતા અલ કાયદા પાક.ના અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય છે. અન્ય સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સનો સમાવેશ થાય છે જે આઇએસ સાથે જોડાયેલું છે.
પાકિસ્તાનમાં જ ખતરા સમાન આતંકી સંગઠનો
પાકિસ્તાનમાં તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ટીટીપી પાક.માં જ હુમલા કરી રહ્યું છે, આ સંગઠનની સ્થાપના ૨૦૦૭માં નૂર વાલી મેહસુદ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પણ અનેક સંગઠનો સક્રિય છે. એટલુ જ નહીં પાકિસ્તાનમાં શિયા વિરોધી સંગઠનો કેટલા છે તેની વિગતો પણ અમેરિકાના આ રિપોર્ટમાં જાહેર કરાઇ છે, આવા શિયા મુસ્લિમ વિરોધી સંગઠનમાં લશ્કર-એ-જહાંગવીનો સમાવેશ થાય છે. પાક.માં ૨૦૦૩થી આતંકવાદ વકર્યો જ્યારે ૨૦૦૯માં તે વધુ વિકરાળ બનતો ગયો. ૨૦૨૫માં આતંકી હુમલાઓમાં પાક.માં ૪૦૦૧ લોકો માર્યા ગયા જે દસકાનો સૌથી મોટો વાર્ષિક મૃત્યુઆંક છે, મોટાભાગના મૃતકો ખૈબર અને બલુચિસ્તાનના છે. પાકિસ્તાન અનેક વખત આતંકી સંગઠનોના ખાતમા માટે ઓપરેશનોના દાવા કરતુ રહ્યું છે જોકે તેમ છતા અનેક આતંકી સંગઠનો સક્રિય છે અને તેની સંખ્યા પણ વધી રહી છે.










