Supreme Court On Election Commission: બિહારમાં ચૂંટણી પંચ તરફથી જાહેર મતદારોની યાદીના વિશેષ ગહન નિરીક્ષણ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું છે કે, તમે જે યાદીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, તેમાં 22 લાખ લોકોના મોત થયા છે. તો પછી તેમની યાદી જાહેર કરવામાં તમને શું મુશ્કેલી નડી રહી છે. જો તમે યાદી જાહેર કરી દેશો તો રાજકીય પક્ષો દ્વારા SIR વિરૂદ્ધ ચાલી રહેલી ઝુંબેશનો અંત આવશે.
આપમેળે યાદીમાંથી નામ દૂર કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે વધુમાં પૂછ્યું કે બિહારમાં વિશેષ ગહન નિરીક્ષણ માટે ચૂંટણી પંચે કેટલા લોકો સુધી પહોંચ્યું છે. તેમના વિશે માહિતી ક્યાંથી મેળવી. જો 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમની માહિતી બૂથ લેવલ પર કેમ આપવામાં આવી નથી. જો આ માહિતી જનતા સુધી પહોંચે તો ચાલી રહેલી ટીકાઓનો અંત આવશે. જસ્ટિસ બાગચીએ જણાવ્યું કે, ચૂંટણી પંચના કર્મચારી આપમેળે કોઈ નામ યાદીમાંથી હટાવી શકે નહીં. કોઈનું પણ નામ દૂર કરતાં પહેલાં અપીલ કરવાની તક મળવી જોઈએ. જે નાગરિકોનો મૂળ અધિકાર છે.
આ પણ વાંચોઃ બિહાર SIRમાંથી ગુમ 65 લાખ લોકોની યાદી રજૂ કરો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યું અલ્ટીમેટમ
હાલ કોઈનું નામ દૂર કરાયુ નથી
ચૂંટણી પંચના વકીલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર દલીલ કરી હતી કે, હાલ જે યાદી તૈયાર થઈ છે, તે એક ડ્રાફ્ટ છે. હજુ સુધી કોઈ નામ રદ કરવામાં આવ્યું નથી. અમે દસ્તાવેજો મંગાવ્યા છે. જેના આધારે મતદારોની યાદીમાં સામેલ લોકોના EPIC કાર્ડ અપડેટ કરવામાં આવશે. આ યાદીમાં કુલ 7.89 કરોડ લોકો સામેલ છે. જેમાંથી 7.24 કરોડ મતદાર યાદીમાં સામેલ છે. જ્યારે 65 લાખ લોકોને યાદીમાંથી દૂર કરાયા છે.
19 ઓગસ્ટ સુધી યાદી જાહેર કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહારના મતદારોની યાદીમાંથી ગુમ 65 લાખ લોકોના નામની યાદી 19 ઓગસ્ટ સુધી રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ 22 ઓગસ્ટ સુધી આ આદેશનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે મૃત, સ્થળાંતર કરી ચૂકેલા મતદારોની યાદી રજૂ કરવા સહમતિ દર્શાવી હતી. આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે. બેન્ચે જે લોકોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોય તેમને સુનાવણી માટે 30 દિવસની તક મળશે.











