![]()
West Bengal Politics: પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી છે. નવમાં આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા રાષ્ટ્રપતિએ કાર્યક્રમના આયોજન અને રાજ્ય સરકારના વલણ સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી, જેની સામે મમતા બેનરજીએ પણ આકરા પ્રહાર કર્યાં હતા.
મમતા નાની બહેન જેવી છે, પણ આયોજન યોગ્ય નથી: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિલિગુડીના ફાંસીદેવા ખાતે યોજાયેલા સંમેલન માટે પસંદ કરાયેલા સ્થળના કદ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘સંમેલન માટે પસંદ કરેલું સ્થળ ખૂબ નાનું હતું, જ્યાં 5,000 લોકો માટે પણ પૂરતી જગ્યા નહોતી. બિધાનનગર મેદાન જેવા મોટા સ્થળો ઉપલબ્ધ હોવા છતાં આટલી નાની જગ્યા કેમ પસંદ કરાઈ? જો મોટું મેદાન હોત તો લાખો સંથાલ ભાઈ-બહેનો ભાગ લઈ શક્યા હોત. મમતા બેનરજી મારી નાની બહેન સમાન છે, મને નથી લાગતું કે તે મારાથી ગુસ્સે હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે આવી વ્યવસ્થા કેમ?’
આ પણ વાંચો: નેપાળમાં બનશે બાલેન શાહની સરકાર! પૂર્વ પીએમ ઓલીની હાર, PM મોદીએ પાઠવી શુભેચ્છા
પ્રોટોકોલ ભંગનો ગંભીર મુદ્દો
તેમણે સૌથી વધુ નારાજગી પ્રોટોકોલને લઈને વ્યક્ત કરી હતી. નિયમ મુજબ, રાષ્ટ્રપતિના સ્વાગત માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી અથવા રાજ્ય સરકારના કોઈ વરિષ્ઠ મંત્રી હાજર હોવા જોઈએ. જોકે, તેમના સ્વાગત સમયે રાજ્ય સરકારનો કોઈ પ્રતિનિધિ હાજર ન રહેતા તેમણે નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે, ‘વ્યક્તિગત રીતે વાંધો નથી, પરંતુ પદની ગરિમા જળવાવી જોઈએ.’
મમતા બેનરજીના ભાજપ પર પ્રહાર
રાષ્ટ્રપતિની નારાજગી સામે મુખ્યમંત્રી મમતા બેનરજીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘હું રાષ્ટ્રપતિનો સંપૂર્ણ આદર કરું છું, પરંતુ તેમણે ભાજપના ઈશારે રાજકારણમાં ન પડવું જોઈએ. જ્યારે મણિપુર કે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં આદિવાસીઓ પર અત્યાચાર થયા ત્યારે રાષ્ટ્રપતિએ કેમ પ્રતિક્રિયા ન આપી? પશ્ચિમ બંગાળ સરકારે આદિવાસીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે, જેની કદાચ રાષ્ટ્રપતિ પાસે સચોટ માહિતી નથી.’ તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ ચૂંટણી ટાણે આદિવાસી મુદ્દાઓ પર રાજકારણ રમી રહ્યું છે.
આ ઘટના બાદ પશ્ચિમ બંગાળમાં આદિવાસી મતદારોને રીઝવવા માટે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે રાજકીય ખેંચતાણ વધુ તેજ બની શકે છે.










