![]()
Surat News : સુરતમાં બે સગીર મિત્રો ક્રિકેટર બનવા માટે ઘર છોડીને જતાં રહેતા પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. બંને સગીર સુરતથી ટ્રેનમાં મુંબઈ-બોરીવલી અને ત્યાથી રાજસ્થાનની ટ્રેન દ્વારા ભીલવાડા પહોંચ્યા હતા. સમગ્ર ઘટના મામલે માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી. સગીર દ્વારા ઘર છોડતાં પહેલા એક ચિઠ્ઠી પણ લખી હતી. પોલીસે 93 જેટલાં સીસીટીવી ફૂટેજ તપાસીને અંતે બંને સગીરને શોધી કાઢ્યા હતા. બંને બાળકો મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
સુરતના 2 વિદ્યાર્થી ઘર મૂકીને ચાલ્યા ગયા
મળતી માહિતી મુજબ, સુરતના મોરા ટેકરા ગામના કરિયાણાના દુકાનદારનો 16 વર્ષીય સગીર દીકરો ગત 7 નવેમ્બરના રોજ વાળ કપાવવા જાઉ છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. જોકે, ઘણો સમય વિત્યા છતાં દીકરો ઘરે ન આવતા પરિવાર સલૂન ખાતે જઈને પૂછ્યું હતું. જોકે, સગીર વાળ કપાવીને ત્યાંથી નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસતાં જાણવા મળ્યું હતું કે, 16 વર્ષીય સગીર બેગ લઈને જતો જોવા મળે છે.
બીજી તરફ, પરિવારે સગીર દીકરાના સ્કૂલના મિત્રનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે, તેનો મિત્ર પણ ઘરે નથી અને ગુમ છે. જેમાં સગીરે ઘરે છોડતાં પહેલાં હિન્દીમાં ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘Byy મમ્મી પાપા મેં જા રહા હું અપના સપનાં પૂરા કરને, આપ ચિંતા ના કરે, મેં વાપીસ આ જાઉંગા…..’
આ પણ વાંચો: સુરત: ભાજપના કોર્પોરેટરે BLOની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ, ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ
પરિવારને જાણવા મળ્યું હતું કે, બંને મિત્ર અવારનવાર ક્રિકેટની વાત કરતા હતા અને ક્રિકેટર બનવાનું કહેતા હતા. બંને સગીર ગુમ થતાં પરિવારે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે સુરત રેલવે સ્ટેશન સહિતના 93 જેટલાં સીસીટીવી કેમેરા તપાસતા બંને સગીર ભીલવાડા ખાતેથી મળી આવ્યા હતા.










