![]()
IndiGo Crisis: ઈન્ડિગો એરલાઈન્સનું સંકટ હજુ ટળ્યુ નથી, આજે દેશભરમાંથી 300થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે, અને સેંકડોની સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા છે. આજે ઈન્ડિગો સંકટનો 9મો દિવસ છે. આ વચ્ચે હવે સરકારે કડક પગલા લેતા ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં 10% કાપ નિર્દેશ આપ્યો હતો. હવે, બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, આ કાપ મૂકવામાં આવેલી ઈન્ડિગો ફ્લાઈટ્સ અન્ય એર ઓપરેટરોને રી-ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવશે, જે સંકટમાં ફસાયેલ ઈન્ડિગો માટે વધુ એક મોટો ઝટકો હશે અને તેની સીધી અસર તેના માર્કેટ શેર પર જોવા મળશે.
સરકારના આકરા નિર્ણયથી એરલાઈન્સને મજબૂત મેસેજ જશે
સરકારના 10% કાપ વાળા નિર્દેશ બાદ હવે સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, ઈન્ડિગોની કાપ મૂકવામાં આવેલી ફ્લાઈટ્સ અન્ય એરલાઈન્સને આપવામાં આવશે, એટલે કે, અન્ય એર ઓપરેટરોને સ્પેસ મળશે. સરકારના આ રી-ડિસ્ટ્રિબ્યૂટના નિર્ણયથી એરલાઈન્સને એક મજબૂત મેસેજ જશે કે મુસાફરોને હળવાશથી ન લઈ શકાય અને ઈન્ડિગો જેવી સ્થિતિમાં તે એરલાઈનના માર્કેટ શેર પર પણ અસર પડી શકે છે.
ફ્લાઈટ્સ રી-ડિસ્ટ્રિબ્યૂટ કેમ?
ઈન્ડિગોની કાપ મૂકવામાં આવેલી ફ્લાઈટ્સને રી-ડિસ્ટ્રિબ્યૂટ કરવાથી મુસાફરો પાસે હવાઈ યાત્રા કરવાના વધુ વિકલ્પો રહેશે અને ઈન્ડિગોની ફ્લાઈટ જે સતત રદ થઈ રહી છે તેમાં પણ બ્રેક લાગશે. કાર્યપદ્ધતિની વાત કરીએ તો ઈન્ડિગોનો 10% ઓપ્સ શેર એર ઇન્ડિયા, સ્પાઈસજેટ, અકાસા અને અન્ય વિશ્વસનીય ઓપરેટરોને તેમની ક્ષમતા, ફ્લીટ ક્ષમતા અને હાલના રિસોર્સના આધાર પર આપી શકાય છે. સરકારના આ નિર્ણયથી એરલાઈનને ચાર મોટા ઝટકા લાગશે.
1. દરરોજ 220 ફ્લાઈટ કટ
ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે સાંજે યોજાયેલી બેઠકમાં ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સમાં 10% કાપ મૂકવાનો નિર્દેશ જારી કર્યો હતો. ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને બોલાવવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણયની પહેલી ખરાબ અસર ઈન્ડિગોની લગભગ 2,200 દૈનિક ફ્લાઈટ્સ પર સીધી અસર પડશે. આનો અર્થ એ કે, લગભગ 220 ફ્લાઈટ્સ ઘટી જશે.
2. માર્કેટ શેર પર પડશે અસર
છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો સંકટે એરલાઈનની વિશ્વસનીયતાને નબળી પાડવાનું કામ કર્યું છે, બીજી તરફ સરકારના કડક નિર્ણયોની સીધી અસર તેના માર્કેટ શેર પર પણ જોવા મળી શકે છે. વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈન ભારતીય એવિએશન માર્કેટમાં 65%ની ભાગીદારી સાથે સૌથી મોટી પ્લેયર છે, પરંતુ ફ્લાઈટ્સ કાપ અને ફ્લાઈટ્સ રી-ડિસ્ટ્રિબ્યૂટ કરવાના MoCAના નિર્ણયથી ઈન્ડિગોના 55-57% માર્કેટ શેર પર અસર થશે અથવા તો ઘટાડો પણ થશે.
એરલાઈનની ઈનકમ પર અસર
સૌથી વધુ માર્કેટ ભાગીદારીની સાથે ભારતીય એવિએશન સેક્ટરની સૌથી મોટી કંપની ઈન્ડિગો એરલાઈન કમાણીના મામલે પણ હંમેશાથી આગળ રહી છે. પરંતુ તાજેતરનું સંકટ અને ફ્લાઈટ્સ કાપના સરકારના નિર્ણયની સીધી અસર તેની કમાણી પર જોવા મળશે. દરરોજ 220 ફ્લાઈટ્સમાં કાપ અને આ ફ્લાઇટ્સનું અન્ય એરલાઈન્સને ફાળવણી એ ઈન્ડિગો માટે મોટો ઝટકો છે.
આ પણ વાંચો: ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો
શેરમાં વધુ ઘટાડો આવી શકે છે
ઈન્ડિગોમાં આઠ દિવસથી ચાલી રહેલા સંકટની અસર તેની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડના શેર પર જોવા મળી રહી છે અને છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં તેમાં 12% થી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે તેનું માર્કેટ કેપ 1.89 લાખ કરોડ પર આવી ગયું છે. હવે, સરકારના કડક પગલાંને કારણે વધુ ઘટાડાની શક્યતાથી ઈનકાર ન કરી શકાય, જેની અસર ઈન્ડિગોના શેરમાં રોકાણ કરનારાઓ પર પણ પડશે.










