![]()
વિવાદ પરથી બોધપાઠ લઈ ગાઈડલાઈન બનાવવી જરૂરી : સાધુઓએ જ સ્નાન કરવાની માત્ર ધાર્મિક પરંપરા, કોઈ પણ સંસારીને છૂટ નથી તો લાગતા- વળગતા સંસારીઓને શા માટે?!
જૂનાગઢ, : ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં માત્ર સન્યાસીઓ જ સ્નાન કરી શકે તેવી કાયદાકીય કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાધુઓ જ સ્નાન કરે એ એક ધાર્મિક પરંપરા હોવાથી મોટાભાગના સંસારીઓ મૃગીકુંડમાં સ્નાન કરતા નથી. જો સંસારીઓને મૃગીકુંડમાં સ્નાનની છૂટ નથી તો પછી વીઆઈપીઓને છૂટ શા માટે?
તાજેતરમાં મહાશિવરાત્રી 2026ના મેળા દરમ્યાન જે ઘટનાઓ બની તેના કારણે મૃગીકુંડમાં સ્નાન માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવી જરૂરી બની ગઈ છે. કીત પટેલ નામની યુવતીએ ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓના શાહી સ્નાન દરમ્યાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. આ ઘટનાથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ છે. મહાશિવરાત્રીની રવેડીના દિવસે મૃગીકુંડ માત્ર સાધુઓ માટે જ આરક્ષિત રાખવો જોઈએ. સામાન્ય દિવસોમાં પણ પવિત્રતા જળવાય તે માટે સામાન્ય જનતા માટે સ્નાન પર સંપૂર્ણ પ્રતિબંધ છે જે કાયદાકીય પ્રસ્તાપિત થવું જોઈએ. સાધુનો વેશ ધારણ કરી ગેરમાર્ગે દોરનારા લોકો સામે સખત દંડની જોગવાઈ હોવી જોઈએ. મેળા દરમ્યાન આટફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરાનો ઉપયોગ કરવો જે મહિલા અને પુરૂષ અથવા અનધિકૃત વ્યક્તિઓને ઓળખી શકે. કુંડની આસપાસ કાયમી જાળી અથવા કાચનું એવું આવરણ હોવું જોઈએ જેથી પવિત્રતા પણ જળવાય અને કોઈ અંદર ઉતરી ન શકે.
ધાર્મિક લાગણી દુભાવવા બદલ ભારતીય ન્યાય સંહિતા હેઠળ તાત્કાલિક ગુનો નોંધવાની સ્પષ્ટ ગાઈડલાઈન હોવી જોઈએ, જેથી સસ્તી પ્રસિધ્ધિ માટે આવા કૃત્યો કરનારાઓ પર લગામ લગાવી શકાય. સાધુ-સંતોની એવી માંગ છે કે મૃગીકુંડની રહસ્યમય અને પવિત્ર પરંપરા સાથે છેડછાડ ન થવી જોઈએ.










