![]()
વડોદરા,ઝઘડો થયા પછી બે યુવકો વચ્ચે સમાધાન કરાવનાર યુવક અને તેના મિત્ર પર હુમલાખોરે ખંજર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા જી.આઇ.ડી.સી. કોલોની પાસે ગણેશ નગરમાં રહેતા કિરણ રાજેશભાઇ કોળી પસ્તીનો વેપાર કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર વિશાલ મહેશભાઇ વસાવા (રહે. સતલોક નગર, જી.આઇ.ડી.સી.રોડ) અને વિષ્ણુ માળી વચ્ચે થયેલા ઝઘડાનું મેં સમાધાન કરાવ્યું હતું. તેની અદાવત રાખી ગઇકાલે રાતે પોણા એક વાગ્યે રોહિતસિંગ મનોહરસિંગ શેખાવતે (રહે. પ્રમુખ નગર, કોતર તલાવડી, માંજલપુર) મને કોલ કરીને વડસર બ્રિજ પાસે કોમેડ કોમ્પલેક્સમાં નીચેના ભાગે દુકાન પર મળવા બોલાવ્યો હતો. જેથી, હું મારા બે મિત્રો કેફ પઠાણ (રહે. અજય નગર, માંજલપુર) તથા મનિષ પ્રવિણભાઇ કહાર (રહે. ભૈરવ નગર, અલવા નાકા, શાક માર્કેટ પાસે, માંજલપુર) ની સાથે ત્યાં ગયો હતો. પરંતુ, રોહિતસિંગ મળ્યો નહતો. જેથી, અમે પરત જતા હતા. તે દરમિયાન કોતર તલાવડી રોડ પર એક ગલ્લા પર ઉભેલા રોહિતસિંગે બૂમ પાડતા હું ઉભો રહ્યો હતો. તેણે મને કહ્યું કે, તમે ડોન બની ગયા છો. ફોન કરીને ધમકાવીને સમાધાન કરાવો છો. તેણે ખંજર વડે મારા મિત્ર મનિષ કહારને પેટના ભાગે મારી દીધું હતું. તેણે મને ડાબા હાથ પર ખંજર માર્યુ હતું. અમે ત્યાંથી ભાગી ગયા હતા. મેં પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો.










