![]()
Morbi Stray Dog Attack: રાજ્યમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. મોરબીમાં નવલખી રોડ પર આવેલી એક સોસાયટીમાં હડકાયા શ્વાને એક જ દિવસમાં પાંચ લોકોને કરડ્યા હોવાના સમચાર સામે આવ્યા છે. જેમાં બાળકો અને વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. સતત સામે આવતી આવી ઘટનાઓથી આસપાસના લોકોમાં ડરનો માહોલ છે.
આ પણ વાંચોઃ તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મોરબીના નવલખી રોડ પર આવેલી રામ ઓર શ્યામ પાર્ક સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. હકીકતમાં હડકવાથી પીડિત શ્વાને આ સોસાયટીમાં એક જ દિવસમાં વૃદ્ધા અને બાળકો સહિત કુલ પાંચ લોકોને બચકાં ભર્યા હતા. હાલ આ તમામ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે અને લોકો બહાર નીકળવામાં પણ ડરી રહ્યા છે. સ્થાનિકો તંત્ર પાસે આ હડકાયા શ્વાનને તાત્કાલિક પકડી તેને નિયંત્રણમાં લાવવા માટે રજૂઆત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, દહેજ માટે હેરાન કરતા હતા સાસરિયાવાળા
સ્થાનિકો દ્વારા સતત વધતી આવી ઘટનાઓને લઈને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમની માંગણી છે કે, તાત્કાલિક ધોરણે આ હડકાયા શ્વાનને પકડવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.
એક જ શ્વાને 15થી વધુને નિશાન બનાવ્યા
નોંધનીય છે કે, આવો જ એક કેસ આજે જેતપુરના ડેડરવા ગામમાંથી પણ સામે આવ્યો છે. જ્યાં એક શ્વાન હડકાયું થતાં તેણે આતંક મચાવ્યો હતો. હડકાયા બનેલા આ શ્વાને રસ્તા પર જઈ રહેલા બાળકો અને વડીલો સહિત 15થી વધુ લોકોને નિશાન બનાવીને બચકાં ભર્યા હતા. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા તમામ ગ્રામજનોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો ત્યાં એન્ટી-રેબીઝની સારવાર આપવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામજનો એટલા ડરી ગયા છે કે, તેઓ હાલ ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે.










