![]()
અમદાવાદ,બુધવાર,17
ડિસેમ્બર,2025
સાડાસાતી માત્ર માનવીના જીવનમાં આવે એવુ નથી. અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં વીસ વર્ષથી સત્તાસ્થાને રહેલા ભાજપને પણ સાત વર્ષથી સાડાસાતી નડી રહી
છે. શહેરના વિવિધ વિસ્તારમાં બનાવાયેલા ફલાયઓવરબ્રિજ, રેલવે બ્રિજ એક અથવા
બીજા કારણસર વિવાદમાં આવતા ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર મુકાઈ છે.હાટકેશ્વર ઉપરાંત પાંજરાપોળ,પલ્લવ જંકશન,રાણીપ રેલવે બ્રિજ
તથા ઈન્કમટેકસ ફલાયઓવરબ્રિજનો વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો.બ્રિજ વિવાદની શું અસર
થાય છે તે આવનારી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના પરિણામ પછી સામે આવશે.
શહેરમાં નવા ઉમેરાયેલા વિસ્તાર, વધતી વસ્તી અને
વાહનોને લઈ દરેક વિસ્તારમાં કોઈપણ સમયે ટ્રાફિક જામના દ્રશ્યો હવે જાણે કે સામાન્ય
બની ગયા છે. આ પરિસ્થિતિને કેવી રીતે હળવી કરવી એનુ કોઈ નકકર આયોજન દિર્ઘ દ્રષ્ટીથી કરવામાં કોર્પોરેશનનો બ્રિજ
પ્રોજેકટ વિભાગ સદંતર નિષ્ફળ નિવડયો છે.વર્ષ-૨૦૧૭માં રુપિયા ૪૦ કરોડના ખર્ચે
બનાવાયેલ હાટકેશ્વર બ્રિજ માંડ બે-ચાર મહિના જ ઉપયોગમા લઈ શકાયો હતો.હાલ આ બ્રિજ
શ્રી ગણેશ કન્સટ્રકશન દ્વારા તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે.કેટલાક અધિકારીઓને
જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરાયા પછી હાટકેશ્વર બ્રિજની તપાસ કોર્પોરેશન તરફથી અભેરાઈ
ઉપર ચઢાવી દેવામા આવી છે.સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા વિજય ક્રોસ રોડથી
નહેરુનગર તરફ સ્પલીટ ટુ લેન,ફલાયઓવરબ્રિજ
બનાવવા સુચન કરાયુ હતુ.તેના બદલે સત્તાધીશોએ આઈ.આઈ.ટી.રામના રીપોર્ટના આધારે
બ્રિજની દિશા બદલી નાંખી. આ ફલાયઓવર બનાવવા વૃક્ષો નહીં કાપવાની હાઈકોર્ટમાં
બાંહેધરી અપાયા પછી પણ કોર્પોરેશન તરફથી મોટી સંખ્યામાં વર્ષો જુના ઘટાદાર વૃક્ષો
કપાવી નાંખી સાબિત કર્યુ કે,તેમના
માટે પર્યાવરણ નહીં બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર મહત્વના છે.
કયા બ્રિજ સાથે કયો વિવાદ જોડાયો?
૧.હાટકેશ્વર બ્રિજ,વર્ષ-૨૦૧૭માં
રુપિયા ૪૦ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવાયો.નબળી
ગુણવત્તાવાળા આ બ્રિજને ઉપયોગ શરુ કર્યાના
ગણતરીના મહિનામા બંધ કરી દેવો પડયો.અંતે વર્ષ-૨૦૨૫માં બ્રિજ તોડવા માટે નિર્ણય
કરાયો.
૨.રાણીપ ફલાયઓવરબ્રિજ,
બે વર્ષમાં બ્રિજની કામગીરી પુરી કરવાની હતી.તે વર્ષ-૨૦૨૩માં પુરી કરાઈ.રેલવે
પાસેથી પાંચ હજાર સ્કેવરમીટર જગ્યા લેવામા બે વર્ષ લાગ્યા.રેલવેને જગ્યા માટે
કોર્પોરેશન તરફથી રુપિયા ૫૦ કરોડ ચૂકવવામા આવ્યા.
૩. અજીત મિલ ફલાય ઓવરબ્રિજ,ડિસેમ્બર-૨૦૨૧માં ખુલ્લો મુકાયો.બ્રિજ ખુલ્લો મુકાયા પછી
કોર્પોરેશન તંત્રના ધ્યાનમાં આવ્યુ કે,
બ્રિજ નીચેથી ટ્રન્ક વોટર મેઈન પસાર થાય છે. આ કારણથી બ્રિજની ડિઝાઈન બદલવી
પડી.
૪.પલ્લવ જંકશન ફલાયઓવરબ્રિજ, વર્ષ-૨૦૧૭માં બ્રિજ માટે મંજુરી અપાઈ.અહીં પણ સેન્ટ્રલ રોડ
રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા અંડરપાસ બનાવવા સુચવવામા આવ્યુ હતુ.બ્રિજ બનાવવાની
શરૃઆત સમયે ખબર પડી કે ઉપરથી હાઈટેન્શન લાઈન પસાર થાય છે.તેને અંડરગ્રાઉન્ડ
કરવા વધારાનો રુપિયા ૧૮ કરોડનો ખર્ચ કરવો
પડયો.
૫.ઈન્કમટેકસ ફલાયઓવરબ્રિજ, ફોરલેન બ્રિજ બનાવવા સુચન હતુ.ફાઈવલેન બ્રિજ
બનાવાયો.ગાંધીજીની પ્રતિમાને ખસેડવા તથા વધારાના સ્ટ્રકચર માટે રુપિયા દસ કરોડ વધુ
ખર્ચ કરાયો.
૬.પાંજરાપોળ ફલાયઓવરબ્રિજ, વિજય ચાર રસ્તાથી નહેરૃનગર તરફ બનાવવાના સુચનને ફગાવી
દેવાયુ.રુપિયા ૬૨ કરોડના અંદાજ સામે રુપિયા ૭૮.૬૧ કરોડના ખર્ચથી બ્રિજનુ કામ
અપાયુ.
૭.સતાધાર ફલાયઓવરબ્રિજ, વર્ષ-૨૦૨૩માં બ્રિજ માટે મંજુરી અપાઈ.બ્રિજનો ડીફેકટ
લાયાબલીટી પિરીયડ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષનો કરાયો.
જલારામ અંડરપાસ ઉદ્દઘાટનના ગણતરીના કલાકોમાં બંધ કરાયો
રુપિયા ૮૩ કરોડના ખર્ચથી રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા બનાવાયેલ અંડરપાસનુ રાજયના મુખ્યમંત્રીએ ખુલ્લો મુકયા પછી તંત્રને ખબર પડી
કે રોડ ઉપર બે મોબાઈલ ટાવર દુર કરવાના બાકી છે.આ કારણથી ગણતરીના કલાકોમાં અંડરપાસ
બંધ કરાયો હતો.
કયા બ્રિજના કોણ કોન્ટ્રાકટર
નામ કોન્ટ્રાકટર
હાટકેશ્વર અજયઈન્ફ્રાકોન
રાણીપ વિજય મિસ્ત્રી,સદભાવ,રાજકમલ
અજીતમિલ આર કે કન્સ્ટ્રકશન
પલ્લવ જંકશન અજય ઈન્ફ્રા
ઈન્કમટેકસ ત્રિનેત્રી કન્સ્ટ્રકશન
પાંજરાપોળ રણજિત કન્સ્ટ્રકશન
સતાધાર અનંતા પ્રોકોન










