![]()
– બાળકોને પ્રતિબંધિત કફસિરપ અપાતાં કિડની ફેઇલ થતાં મોત
– રાજસ્થાનમાં બ્લેક લિસ્ટેડ કફસિરપનો સપ્લાય સરકારી હોસ્પિટલોમાં ચાલુ, પ્રતિબંધિત કફસિરપ બનાવનાર ફરાર
ભરતપુર, ભોપાલ : મધ્ય પ્રદેશના છિંદવાડા અને રાજસ્થાનના સિકર અને ભરતપુર જિલ્લામાં સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફતમાં વહેંચવામાં આવતાં કફસિરપ પીવાથી કુલ છબાળકોના મોત થયા છે અને દસ બાળકો સહિત એક ડોક્ટરની હાલત ગંભીર છે. કફસિરપ ડેક્સ્ટ્રોમેથોરફન હાઇડ્રોબ્રોમાઇડ રાજસ્થાનના સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત વહેંચવામાં આવે છે જેના વપરાશને કારણે ભરતપુર, સિકર અને જયપુરમાં ઘણાં બાળકોના જીવ જોખમમાં આવી પડયા છે.
મધ્યપ્રદેશના એક અધિકારીના જણાવ્યા અનુસાર ચોથી અને ૨૬ સપ્ટેમ્બર દરમ્યાન છિંદવાડા જિલ્લાના છ બાળકોની કિડની ખરાબ થતાં તેમના મોત થયા હતા. આ બાળકોની કિડની ફેલ થવાના કારણોની તપાસ માટે સેમ્પલ મેળવી કેન્દ્ર અને રાજ્ય સરકારને મોકલવામાં આવ્યા છે. જો કે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન રાજેન્દ્ર શુકલએ કફસિરપને કારણે બાળકોના મોત થયા હોવાની વાત બિનપાયેદાર ગણાવી હતી.
મધ્યપ્રદેશના છિંદવાડા અને રાજસ્થાનમાં બાવીસ દિવસમાં છ બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે.ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ તમામ બાળકોની કિડની ફેઇલ થઇ હતી.શરૂઆતમાં બાળકોને શરદી, ખાંસી અને તાવની ફરિયાદો હતી જેના ઇલાજરૂપે કફસિરપ આપવામાં આવતાં તેના કારણે કિડની પરવિપરીત અસર થવાથી તેમના જીવ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ચીફ મેડિકલ ઓફિસર અને આરોગ્ય અધિકારી ડો. નરેશ ગન્નાડેએ જણાવ્યું હતું કે બાવીસ ઓગસ્ટે છિંદવાડાના પરાસિયા ગામે કેટલાક બાળકોને તાવ આવ્યો હોવાની જાણ કરાઇ હતી બાદમાં તેમના મોતના સમાચાર મળ્યા હતા. ચારથી સાત સપ્ટેમ્બર દરમ્યાન નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં ત્રણ બાળકોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પરાસિયામાં સરકારી હોસ્પિટલમાં દસ પથારીનો એક અલગ વોર્ડ બનાવવામાં આવ્યો હતો. એ પછી બીજાત્રણ બાળકોના મોત થયા હતા. આમ, ચારથી ૨૬ સપ્ટેમ્બર દરમ્યાન કુલ છ બાળકોના મોત થયા હતા. આ મોતના સમાચારોને પગલે નેશનલ સેન્ટર ફોર કન્ટ્રોલ ડિસિઝ અને રાજ્ય સ્તરની ઇન્ટિગ્રેટેડ ડિસિઝ સર્વિલિયન્સ પ્રોજેક્ટની ટીમો તપાસ માટે આવી હતી. આ ટીમોએ પાણી તથા અન્ય સબંધિત સેમ્પલ લઇને તપાસ માટે મોકલી આપ્યા છે. બૈતુલ, સિવની અને પાંઢુર્નામાં પણ કેટલાક કેસો નોંધાયા છે. ગન્નાડેએ ઉમેર્યું હતું કે અમે કેટલીક દવાઓ પર પ્રતિબંધ મુકયો છે. જેમાં કેટલાક કફસિરપ પણ છે. જે મૃત બાળકોના ઘરમાંથી મળી આવ્યા હતા. આ કફસિરપને પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. જ્યાં સુધી લેબ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેનુ વેચાણ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઇલાજ માટે પાંચ બાળકોને નાગપુરની સરકારી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.
પૂણેથી મળેલાં રિપોર્ટ અનુસાર વેક્ટર બોર્ન વાઇરલ ચેપના લક્ષણો જોવા મળ્યા નથી. પરિણામ તેમને આપવામાં આવેલી દવાઓ ભેળસેળવાળી હોવાની શંકા છે. જિલ્લા પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં રૂપે કેટલાર કફસિરપનો ઉપયોગ ન કરવાની સલાહ વાલીઓને આપવામાં આવી છે.
દરમ્યાન રાજસ્થાનમાં મેડિકલ કોર્પોરેશન દ્વારા ૨૨ બેચના કફસિરપના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.રાજસ્થાનમાં આ કફસિરપને કારણે બે બાળકોના મોત થયા હતા. ભરતપુરમાં ગગન નામના એક બાળકને પ્રતિબંધિત કફસિરપ આપવામાં આવતાં તેની તબિયત બગડી ગઇ હતી. ડોકટરે પણ તે સિરપ લેતાં તેની હાલત પણ કફોડી થઇ ગઇ હતી. આ દવાને કારણે સીકરમાં પાંચ વર્ષના નિત્યાંશનો જીવ ગયો હોવાનું મનાય છે. જયપુરમાં એક સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી આ કફસિરપ મેળવી તેનો ઉપયોગ કરતાં બે વર્ષની એક બાળકીની હાલત બગડી ગઇ હતી. કફસિરપ ડેક્સ્ટ્રોમેથોરફન હાઇડ્રોબ્રોમાઇડ રાજસ્થાનમાં બ્લેક લિસ્ટેડ હોવા છતાં સરકારી હોસ્પિટલોમાં તેનો સપ્લાય ચાલુ છે. રાજસ્થાન સરકારે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની એેક સમિતિની રચના કરી છે. આ દવા બનાવનારી કંપની કેસન ફાર્માનો માલિક ફેકટરીને તાળું મારી રવાના થઇ ગયો હોવાના અહેવાલ છે. નોંધપાત્ર બાબત એ છે કે આ કંપનીના એક સિરપ પર પ્રતિબંધ હોવા છતાં આ કંપનીએ અન્ય નામે ટેન્ડર ભરી ફરી સિરપ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સપ્લાય કરવાનું કામ મેળવી લીધું હતું.










