![]()
Gujarati Tourists Stranded in Dubai: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે વિદેશ પ્રવાસે ગયેલા ભારતીયોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને દુબઈ અને અબુ ધાબી ફરવા ગયેલા અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા 13 જેટલા ગુજરાતના એક જ પરિવારના લોકો હાલ ત્યાં ફસાયેલા છે. અબુ ધાબી પર થયેલા મિસાઈલ હુમલા અને ત્યારબાદ ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરોની હાલત કફોડી બની છે. જેમાં સિનિયર સિટીઝનોની દવાઓ અને ખાવા-પીવાની સામગ્રી ખૂટી પડતા તેઓ ભારે આર્થિક અને શારીરિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હોટલ સંચાલકો દ્વારા વધારાના નાણાંની માંગ અને મોંઘા વિમાની ભાડાને કારણે લાચાર બનેલા આ પરિવારો હવે ભારત સરકાર પાસે સુરક્ષિત વતન વાપસી માટે આશા છે.
મુસાફરો પાસે પૈસા, રહેવા-જમવાની સહિતની તકલીફ ઊભી થઈ
મહત્ત્વનું છે કે, આ લોકો 25મી ફેબ્રુઆરીના રોજ દુબઈ ફરવા માટે ગયા હતા અને ત્યાંથી બે-ત્રણ દિવસ રોકાયા બાદ અબુધાબી ગયા હતા. અબુ ધાબીમાં તેને ફ્લાઈટો કેન્સલ થવાના સમાચાર મળતા તેઓ તુરંત દુબઈ પરત ફર્યાં હતા. જોકે, તેમની ભારત જવાની નિર્ધારિત ફ્લાઈટ્સ અને ત્યારબાદ કરાવેલી બીજી ટિકિટો પણ કેન્સલ થઈ ગઈ છે, જેના કારણે તેઓ હાલ દુબઈમાં ફસાયેલા છે. હાલમાં આ મુસાફરો પાસે પૈસા, રહેવા-જમવાની સગવડ અને પીવાના પાણીની પણ ભારે તકલીફ ઊભી થઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ લોકોમાં ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ પણ સામેલ છે જેમની જરૂરી દવાઓ હવે ખૂટી ગઈ છે. આ પરિસ્થિતિમાં તેઓ ભારત પરત જવા માટે મદદની પોકાર કરી રહ્યા છે કારણ કે તેમની પાસે હવે ખર્ચ કરવા માટે પણ પૈસા બાકી રહ્યા નથી.
દુબઈમાં ફસાયેલા પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, ‘અમે 25 તારીખે 13-14 લોકોના ગ્રુપ સાથે દુબઈ ફરવા આવ્યા હતા, જેમાં 8 સિનિયર સિટીઝન અને 2 બાળકો પણ હતા. 28મી તારીખે જ્યારે અમે અબુ ધાબીમાં પાર્લામેન્ટ જોવા ગયા હતા, ત્યારે ઈરાને હુમલો કર્યો. ત્યાંના લોકો તો શાંત હતા અને અમને ગભરાવા ના પાડતા હતા, પણ ભારતથી ચિંતામાં ફોન આવવા લાગ્યા એટલે અમે પેનિક થઈ ગયા હતા. અમે મિસાઈલ ફૂટવાનો અવાજ પણ સાંભળ્યો હતો. ત્યાંની ડિફેન્સ સિસ્ટમ એટલી ઝડપી હતી કે મિસાઈલોને હવામાં જ તોડી પાડી, જોકે, તેનો કચરો નીચે પડવાથી લોકોને નુકસાન થયું હતું. અમે સુરક્ષિત રીતે ગાડી દ્વારા પાછા દુબઈ આવી ગયા, પણ અમારા ફોનમાં ઍલર્ટ વાગતા હતા કે સુરક્ષિત રીતે તમારા રૂમમાં જતા રહો.
આ પણ વાંચો: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી, ભાજપ, કોંગ્રેસ અને AAP સમર્થિત વકીલ ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ
પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, ‘હુમલાના કારણે ફ્લાઈટો તરત જ બંધ થઈ ગઈ અને અમારો જે 2 તારીખ સુધીનો સ્ટે હતો તે લંબાવવો પડ્યો. હોટલવાળાએ કોઈ સરકારી સર્ક્યૂલર વગર અમને ફ્રીમાં એક્સટેન્શન આપવાની ના પાડી દીધી અને પૈસા માંગ્યા, જેનાથી અમને આર્થિક તકલીફ પડી. અમે ભારતીય દૂતાવાસમાં ગયા તો ત્યાં જાણવા મળ્યું કે પ્રાઈવેટ ફ્લાઈટના ભાડા વ્યક્તિદીઠ 80 હજારથી 1 લાખ રૂપિયા હતા જે અમને પોસાય તેમ નહોતા, જોકે તેમણે અમને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું. અંતે, મિત્રોની સલાહથી અમે જાતે એર અરેબિયાની ઓફિસે ગયા અને ત્યાં તેમણે અમારી ટિકિટો સતમી તારીખ માટે રીશિડ્યુલ કરી આપી અને અમને સલામત રીતે ભારત મોકલવાની ખાતરી આપી છે.’
વિનોદભાઈ પ્રજાપતિએ દુબઈમાં ફસાયેલા તેમના પરિજનોની સ્થિતિ વિશે જણાવ્યું કે, ‘મારા પરિવારના સભ્યો ચાર તારીખે એર અરેબિયાની ફ્લાઈટમાં દુબઈ ગયા હતા. તેમની રિટર્ન ટિકિટ બે તારીખની હતી, પરંતુ ઈરાન યુદ્ધના લીધે ફ્લાઈટ કેન્સલ થતા તેઓ અત્યારે ત્યાં જ ફસાયેલા છે. મારા આ પરિવારમાં કુલ 11 સિનિયર સિટીઝન અને 2 યુવાનો છે. મારા પરિવારના સભ્યો બ્રહ્માકુમારીસમાં જાય છે, તેથી તેઓ બહારનું કશું જમતા નથી. તેઓ અહીંથી જ કરિયાણું અને બધું સીધું સાથે લઈ ગયા હતા, પણ હવે એ કરિયાણું ખૂટી પડ્યું છે, જેના કારણે તેમને જમવાની મોટી મુશ્કેલી પડી રહી છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘જે 11 સિનિયર સિટીઝન છે, તેઓ પોતાની સાથે માત્ર સાત દિવસની જ દવાઓ લાવ્યા હતા. હવે તેમની દવાઓ પણ પૂરી થઈ ગઈ છે, જેના લીધે તેમની સ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય છે. હોટલમાં તેમનું રોકાણ પણ બે તારીખ સુધીનું જ હતું, જે માંડ બે દિવસ એક્સટેન્ડ કરાવ્યું છે. અત્યારે તેમની પાસે પૈસા પણ ખૂટી પડ્યા છે. સરકાર ભલે કહેતી હોય કે ત્યાં ફ્રીમાં રહેવાની સગવડ છે, પણ હોટલવાળા કહે છે કે તેમની પાસે એવો કોઈ પરિપત્ર નથી અને રહેવા માટે એડવાન્સમાં પૈસા માંગે છે. જ્યારે ઈરાન દ્વારા અબુ ધાબીમાં અમેરિકન એમ્બેસી પર એટેક થયો, ત્યારે મારા પરિવારના સભ્યો ત્યાં જ હતા. એટેકના બે-ત્રણ કલાક પછી તેઓ માંડ દુબઈ પરત ફર્યા હતા. મારી ભારત સરકારને અપીલ છે કે વહેલી તકે ત્યાં પ્લેન મોકલીને મારા પરિવારજનોને સુરક્ષિત રીતે ઇન્ડિયા પાછા લાવવામાં આવે.’










