![]()
મુંબઈ : ૧૪ દિવસના યુદ્ધવિરામનો લાભ લેવા દેશના નિકાસકારો તેમની નિકાસમાં ઝડપ લાવી રહ્યા છે અને ઉત્પાદન એકમો ખાતે ક્ષમતા ઉપયોગીતા વધારી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
યુદ્ધવિરામ દરમિયાન નવા ઓર્ડરો મળવાની પણ નિકાસકારો અપેક્ષા રાખી રહ્યા છે. યુદ્ધવિરામ વચ્ચે પણ ઈઝરાયલે લેબનોન પર હુમલા ચાલુ રાખ્યા છે ત્યારે સ્થિતિ ફરી વણસે તે પહેલા વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા થયા છે.
ફાર્મા કંપનીઓમાં નિકાસ માગ વધી રહી છે અને આયાતકારો તેમની પાસે સ્ટોકસમાં થયેલા ઘટાડાને દૂર કરવા તાકીદે ડિલિવરી મંગાવી રહ્યા છે. આ ઉપરાંત પેકેજડ ફૂડ ઉત્પાદકો પણ ઊંચા નૂર દરે માલ રવાના કરવામાં વ્યસ્ત હોવાનું ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (ફીઓ)ના સુત્રોએ જણાવ્યું હતું.
યુદ્ધગ્રસ્ત દેશોમાંથી ખાસ કરીને અખાતી દેશોમાંથી જીવનાવશ્યક માલસામાન, ઔષધો, વીજ ઉપકરણો તથા ફળોની માગ નીકળી છે.
સંઘર્ષને કારણે માર્ચમાં ભારત ખાતેથી મધ્ય પૂર્વમાં માલસામાનની રવાનગી લગભગ અટકી પડી હતી. યુદ્ધવિરામને કારણે હાલમાં વિમાન માર્ગે માલસામાન મોકલવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઈરાન દ્વારા ખાડી દેશો પર હુમલા લગભગ અટકી પડયા છે.
હોર્મુઝ ખાડી મારફત માલવાહક જહાજો મોકલવામાં હજૂપણ જોખમ રહેલા હોવાનું ધ્યાનમાં રાખી ઝડપથી માલ રવાના કરવા કારગો વિમાનનો હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુદ્ધને કારણે લગભગ ચાલીસ દિવસ સુધી ભારત ખાતેથી અખાતી દેશોમાં ફળો, ચોખા, ચા, ગારમેન્ટસ સહિતની નિકાસ અટકી પડી હતી.










