![]()
Earthquake in Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના 5 આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શુક્રવારે (નવમી જાન્યુઆરી) વહેલી સવારે 3.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
વહેલી સવારે આવ્યો જોરદાર આંચકો
મળતી માહિતી અનુસાર, ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી 28 કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.
આ પણ વાંચો: ઈન્દોર જેવું કાંડ ન થાય એટલે અમદાવાદમાં 300 કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જૂની લાઈનો બદલાશે
છેલ્લા 12 કલાકમાં ઉપલેટામાં ભૂકંપના ચાર આંચકા
નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રૂજી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે (આઠમી જાન્યુઆરી) રાત્રે 8:44 વાગ્યે 3.3ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો. જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે 6:19 અને 6:58 વાગ્યે 3.8ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ધોરાજીમાં 7:01 વાગ્યે ભૂંકપ અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.










