Jangleshwar Demolition in Rajkot: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વર્ષો જૂના દબાણો સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ લાલ આંખ કરી છે. આજી નદીના પટ્ટા અને 15 મીટરના ટી.પી. રોડ પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા વિશાળ સ્તરે તબક્કાવાર ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરી હેઠળ અંદાજે 1400 થી વધુ મકાનોને જમીનદોસ્ત કરવાનું લક્ષ્ય છે.
1500 પોલીસ જવાનો અને 1200 મનપા કર્મચારીઓ મેદાને
આ ઓપરેશનને કોઈ પણ વિઘ્ન વગર પાર પાડવા માટે તંત્રએ ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. 1500 થી વધુ પોલીસ જવાનો અને મનપાના 1200 કર્મચારીઓનો કાફલો મેદાને ઉતર્યો છે. આ ઉપરાંત, 206 થી વધુ મશીનરી સજ્જ કરવામાં આવી છે, જેમાં 64 જેસીબી, 7 હિટાચી અને 50 થી વધુ બ્રેકર્સનો સમાવેશ થાય છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

તાત્કાલિક સુનાવણીની માંગ હાઈકોર્ટે ફગાવી
બીજી તરફ, સ્થાનિક રહીશોએ મનપાની આ કાર્યવાહીને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. સ્થાનિકોએ અરજીમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જોકે હાઈકોર્ટે તેને ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગ નકારી છે. રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, સમગ્ર બાંધકામ બોટર બોડી પર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ બાંધકામ ગેરકાયદેસર છે.

શા માટે આ કાર્યવાહી જરૂરી?
મનપાના જણાવ્યા અનુસાર, આ કામગીરીથી ટીપી સ્કીમ નં. 6 નો રસ્તો ખુલશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આ ઉપરાંત આજી નદીના કાંઠેથી દબાણો દૂર થતા ચોમાસામાં સર્જાતી પૂરની ગંભીર સમસ્યામાંથી જંગલેશ્વરના લોકોને કાયમી મુક્તિ મળશે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે 23 ફેબ્રુઆરી પહેલા મકાન ખાલી નહીં કરનારની માલ-મિલકતના નુકસાનની જવાબદારી તંત્રની રહેશે નહીં.










