![]()
પોરબંદરમાં 77 વર્ષ જૂના ‘રૂપાળી બા’ બાગની હાલત ધ્યનીય
ઝાડી ઝાંખરાથી અગોચરના કારણે મહિલાઓની સંખ્યા ઘટી, બાગનું નવીનીકરણ સત્વરે કરવા વિશ્વ નારી દિવસે ઉઠતી માંગ
પોરબંદર: વિશ્વ મહિલા દિવસે પોરબંદરના એક અનોખા બગીચા પાછળની રાજવીઓની દૂરંદેશી અને વર્તમાન શાસકો દ્વારા થતી અવહેલના વિશેષ નોંધપાત્ર બની રહી છે. અહીં ૭૭ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા રાજમાતા શ્રી રૂપાળીબા બાગમાં માત્ર મહિલાઓને અને બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે પરંતુ એક સમયે આકર્ષણનું કેન્દ્રબિન્દુ હતો એવો આ બગીચો હવે ઉજ્જડ ભાસી રહ્યો છે અને આંગળીના વેઢે ગણી શકાય એટલી મહિલાઓ પણ હવે અહીં આવતી નથી.
આધુનિક સમયમાં મહિલાઓના સશિકતકરણ માટેના પ્રયાસો થઇ રહ્યા છે, દેશમાં યોજાતી ચૂંટણીઓમાં પણ મહિલાઓને ૩૩ ટકા અનામત મળે તે માટે મહિલા અનામત બિલ થોડા વર્ષો પૂર્વે પાસ થયું હતું, પરંતુ પોરબંદરમાં તો આજકાલથી નહીં બલ્કે વર્ષોથી એક એવું સ્થળ છે જે ૧૦૦ ટકા મહિલાઓ માટે અનામત છે.
રાજાશાહી વખતે ૧૭-૮-૧૯૪૯ આ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં મહાપાલિકા આ બગીચાનું સંચાલન કરે છે. વિશ્વ નારી દિવસે એવી અપેક્ષા રખાય છે કે તંત્ર કરોડોના ખર્ચે તેનો વિકાસ કરવા જઇ રહ્યું છે તે કામગીરી વહેલી તકે શરૂ થાય.
મહિલાઓ માટેનાં કસરતનાં સાધનો ભાંગી- તૂટી ગયાં છે
વિશાળ જગ્યામાં ઘટાદાર વૃક્ષો ધરાવતા આ બગીચામાંહવે ઝાડી ઝાંખરા તથા અઘોચર જોવા મળે છે. બાળકો માટે મનોરંજનનાં વિવિધ સાધનો સાથે જ મહિલાઓ માટે કસરતનાં સાધનો રાખવામાં આવ્યા હતા જે ભાંગી તૂટી ગયા છે.
પોરબંદરના ઘણાખરા બાગને મહિલાઓનું નામકરણ
પોરબંદરમાં રાજાશાહી વખતથી બનેલા મોટાભાગના બગીચાઓમાં નામ મહિલાઓના નામ પરથી રાખવામાં આવ્યા હતા. જેમ કે, આ રૂપાળી બા બગીચો, રાણી બાગ, કમલા નહેરૂ બાગ.
મહિલા- બાળકો માટેનો જ કદાચિત એકમાત્ર બાગ
પોરબંદરના બાલુબા ફુવારા નજીક આવેલ શ્રી રૂપાળી બા બગીચો ગુજરાતમાં કદાચ એકમાત્ર એવો બગીચો છે, જ્યાં માત્ર મહિલાઓ અને નાનાં બાળકોને જ પ્રવેશ મળે છે. અહીં પુરૂષોની એન્ટ્રી પર પ્રતિબંધ છે.










