Assam Politics: આસામના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાના રાજીનામાને લઈને એક નવો જ વળાંક આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે દાવો કર્યો હતો કે ભૂપેન બોરા આગામી 22 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં જોડાશે. સરમાના જણાવ્યા અનુસાર, બોરાની સાથે કોંગ્રેસના અન્ય ઘણા મોટા નેતાઓ પણ કેસરિયો ધારણ કરશે. તેમણે આ નિર્ણયને બોરા માટે ‘ઘરવાપસી’ ગણાવ્યો છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ તેમની જોઈનિંગને મંજૂરી આપી દીધી છે.
રાહુલ ગાંધીના મનાવ્યા બાદ પણ બોરા ભાજપના દ્વારે
રસપ્રદ વાત એ છે કે, સોમવારે ભૂપેન બોરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓના મનાવ્યા બાદ તેમણે પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. જોકે, મંગળવારે સ્થિતિ બદલાઈ ગઈ જ્યારે મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમા પોતે ગુવાહાટીમાં બોરાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં બોરાના પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સીએમએ વચન આપ્યું છે કે ભાજપમાં બોરાને પૂરેપૂરું સન્માન આપવામાં આવશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને સુરક્ષિત બેઠક પરથી જીતવા માટે મદદ કરવામાં આવશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ
પેટાચૂંટણીમાં અવગણના થતાં બોરાએ પક્ષ સામે ઠાલવ્યો રોષ
બીજી તરફ, ભૂપેન બોરાએ પક્ષના આંતરિક વિખવાદ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં રહેવા તૈયાર છે, પણ કોઈ વ્યક્તિગત જૂથબંધીમાં નહીં. તેમણે સાંસદ રકીબુલ હુસૈનનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. બોરાનો આરોપ છે કે પેટાચૂંટણીમાં વરિષ્ઠ નેતાઓએ તેમનું નામ સૂચવ્યું હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. હાલમાં, બોરાએ મંગળવાર રાત સુધીમાં પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવાની વાત કરી છે, પરંતુ મુખ્યમંત્રીના નિવેદન બાદ હવે તેમની ભાજપમાં જવાની અટકળો તેજ બની છે.











