![]()
Supreme Court On Pre-marital Relations : સુપ્રીમ કોર્ટે સોમવારે લગ્ન પહેલાના શારીરિક સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. દુષ્કર્મ અને લગ્નના વચન સાથે જોડાયેલા એક કેસમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી છે.
શું હતો મામલો ?
ન્યાયાધીશ બી.વી.નાગરત્ના અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેન્ચ એક એવા વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી, જેના પર આરોપ છે કે, તેણે એક મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા અને ત્યારબાદ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા.
‘લગ્ન પહેલા કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ’
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ કડક વલણ અપનાવતા કહ્યું કે, લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા સાવચેતી રાખવી જોઈએ. કદાચ અમે જૂના વિચારો ધરાવતા હોઈ શકીએ, પરંતુ લગ્ન પહેલા એક છોકરો અને છોકરી અજાણ્યા હોય છે. તેમના સંબંધોમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે, પરંતુ લગ્ન પહેલા તેઓ શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકે તે સમજવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, લગ્ન પહેલા કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ અને ખૂબ જ સાવધ રહેવું જોઈએ.
આ પણ વાંચો : ‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા
કેસની વિગતો મુજબ, પીડિત મહિલા અને આરોપી પુરુષ વર્ષ 2022માં એક વેબસાઇટ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપીએ મહિલાને લગ્નનો વિશ્વાસ અપાવ્યો હતો અને તે જ આધારે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત પ્રોસિક્યુશન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ શારીરિક સંબંધોના વીડિયો મહિલાની સંમતિ વગર રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલાની વધુ સુનાવણી હવે આગામી બુધવાર પર રાખવામાં આવી છે.
આ પણ વાંચો : ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન










