![]()
વર્ષ 2013 દુષ્કર્મ મામલામાં આજીવન કેદની સજા ભોગવનાર આસારામ બાપુએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી વચ્ચગાળાના જામીનના સમયગાળા દરમિયાન સતત તેની સાથે પોલીસ કર્મચારીઓની હાજરીમાંથી મુક્તિ માંગી છે…આસારામ 24×7 પોલીસ દેખરેખને આધીન છે. હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજસ્થાન પોલીસે અરજદારને પત્ર લખીને ગુજરાત હાઈકોર્ટ પાસેથી સ્પષ્ટતા માંગવા જણાવ્યું છે કે વચગાળાના જામીન સમયગાળા દરમિયાન આસારામની આસપાસ સુરક્ષા કર્મચારીઓ રાજસ્થાન પોલીસ કે ગુજરાત પોલીસ ઉપલબ્ધ કરાવશે.
આ મામલાની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું સત્સંગ કરવા, આશ્રમમાં ઉપદેશ આપવા અથવા અનુયાયીઓને સમૂહમાં મળવાની અરજદારને છુટ આપીશું નહિ. આ મામલે વધુ સુનાવણી 6 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવી શકે છે.
6 નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટે આરોગ્યલક્ષી સ્થિતિને ધ્યાનમાં રાખીને આસારામના 6 મહિનાના વચ્ચગાળાના જામીન મંજૂર કર્યા હતા. રાજસ્થાન હાઈકોર્ટે પણ તાજેતરમાં જ અન્ય એક મામલામાં આસારામને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે જામીન આપ્યા હતા.
6 ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટે આપેલા વચ્ચગાળાના જામીનમાં શરત મૂકી હતી કે અરજદાર આસારામ સમૂહમાં અનુયાયીઓને મળી શકશે નહિ. આ સાથે જ કોર્ટે વચ્ચગાળાના સમયગાળા દરમિયાન આસારામને ત્રણ પોલીસ કર્મચારી સાથે રાખવાનો આદેશ કર્યો હતો. જોકે હાજર પોલીસ કર્મચારીઓ સામાન્ય સ્થિતિમાં આસારામની કોઈ વ્યક્તિ સાથેની મૂલાકાતમાં અથવા તબીબી સારવારમાં દખલ કરી શકશે નહિ.
વર્ષ 2013માં સુરતની મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી દાવો કર્યો હતો કે આસારામે અમદાવાદના મોટેરા આશ્રમમાં અનેક વખત તેની સાથે જાતીય હુમલો કર્યો હતો. સૌપ્રથમ સુરતમાં નોંધાયેલ આ કેસને ગાંધીનગર ટ્રાન્સફર આવ્યો હતો, જ્યારબાદ ગાંધીનગર શેસન્સ કોર્ટે 2023માં આસારામને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી હતી.










