![]()
Vadodara Corporation : વડોદરામાં કોર્પોરેશન દ્વારા દશામાની મૂર્તિઓના વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવમાંથી આશરે 20 ટન ઓર્ગેનિક કચરો એકત્રિત કર્યો હતો. આ ઓર્ગેનિક કચરામાં ફુલ, પાન, નાળિયેર, કેળના પાન વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી આશરે સાત ટન કચરો સેન્દ્રીય ખાતર બનાવવા માટે મોકલી દેવાયો હતો. બાકીનો કચરો બાયોગેસ પ્લાન્ટમાં રવાના કર્યો હતો. સાત ટન કચરામાંથી આશરે 700 કિલો સેન્દ્રીય ખાતર તૈયાર થશે. આ ખાતર બનતા 15 દિવસ લાગે છે.
યુસીડીની મહિલાઓ દ્વારા ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવાનું જે કામ કરવામાં આવે છે, ત્યાં આ કચરો મોકલાયો હતો. આ ઉપરાંત આશરે 500 કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરાયો હતો. જેમાં પ્લાસ્ટિકની થેલીઓ અને પાણીની બોટલોનો સમાવેશ થતો હતો. પ્લાસ્ટિક કચરો કોર્પોરેશનના પ્લાસ્ટિકના રિસાયકલ પ્લાન્ટમાં દાણા બનાવવા માટે મોકલી દેવાયો હતો. દશામાની મૂર્તિ વિસર્જન કરવા પાલિકા દ્વારા પહેલીવાર શહેરમા કૂલ-6 સ્થળોએ કૃત્રિમ તળાવ અને 2 સ્થળોએ કુદરતી તળાવ સાથે કુલ 8 જગ્યાઓએ વ્યવસ્થા રાખી હતી. જેમાં કુલ 16380 મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી. તળાવમાં માતાજીની જે મૂર્તિઓ છે તેની સફાઈ પાંચ છ દિવસ બાદ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. કોર્પોરેશન દ્વારા હરણી, કિશનવાડી, તરસાલી, મકરપુરા, માંજલપુર, ભાયલી અને બિલ ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા હતા.










