![]()
Surat : સુરત પાલિકાના વરાછા વિસ્તારમાં 25 વર્ષ પહેલા બનેલા સરદાર સ્મૃતિ ભવનમાં છેલ્લા ઘણા વખતથી લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ રીપેર કરવાની માંગણી થઈ હતી. પાલિકાએ સરદાર સ્મૃતિ ભવનના નવીનીકરણ માટે કન્સલન્ટનટને કામગીરી સોંપી હતી જેના સજેશન બાદ 23 કરોડના ખર્ચે લાઈટ-સાઉન્ડ સિસ્ટમ સહિત અનેક સિસ્ટમ અપડેટ કરાશે. આ કામનો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટ માટે કવાયત થઈ રહી છે.
સુરતના વરાછા વિસ્તાર માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ શાળાના કાર્યક્રમ માટે સરદાર સ્મૃતિ ભવન હોટ ડેસ્ટિનેશન બની ગયું હતું. 25 વર્ષ પહેલા બનેલા સરદાર સ્મૃતિ ભવનમાં સાઉન્ડ સિસ્ટમ અને લાઇટ સિસ્ટમ સહિત એ.સી. સહિતની ટેકનોલોજી જૂની પડી ગઈ હતી અને તેના કારણે સરદાર સ્મૃતિ ભવનમાં કાર્યક્રમ દરમિયાન કેટલીક મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ પણ કરવામાં આવતી હતી.
સિવિલ, ઇલેક્ટ્રીકલ તથા મીકેનીકલ કામના રીપેરીંગ-રીનોવેશન તેમજ સ્ટ્રકચરલ સ્ટ્રેન્ધનીંગ કરી સરદાર પટેલ સ્મૃતિ ભવનનું નવીનીકરણ કરવા માટે કન્સલ્ટન્ટ મુકુંદ દલાલ એન્ડ એસોસીએટને કામગીરી સોંપવામાં આવી હતી તેના માટે અંદાજ પણ તૈયાર કરી પાલિકાને આપી દેવામા આવ્યા હતા. આ કામ માટે 23.66 લાખના અંદાજ તૈયાર કરી જાહેર બાંધકામ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. આ કામનો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટ મળે તેવું પણ જણાવ્યું છે.
વરાછા વિસ્તારમાં 25 વર્ષ પહેલાં બનાવવામાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ ભવનમાં હાલમાં 160 ટનનાં એસ.સી. ચીલર પ્લાન્ટ સહિત લાઇટિંગ સિસ્ટમ-સાઉન્ડ સિસ્ટમ અને સ્ટેજ લાઈટ 25 વર્ષ જૂની હોવાને કારણે તેને અપગ્રેડ કરવા દરખાસ્ત પર બાંધકામ સમિતિમાં નિર્ણય કરાશે.










