BJP Varun Gandhi meets PM Modi: ઉત્તર પ્રદેશના પીલીભીતના પૂર્વ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ મંગળવારે સપરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વરુણ ગાંધીની સાથે તેમના પત્ની અને પુત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. વરુણ ગાંધીએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી પીએમ મોદીના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાનના વ્યક્તિત્વના વખાણ કરતા લખ્યું કે, ‘તમારા આભામંડળમાં પિતૃવત સ્નેહ અને સંરક્ષણનો ભાવ છે’, જેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું હવે વરુણ ગાંધી અને ભાજપ વચ્ચેનું અંતર ઘટવા જઈ રહ્યું છે.
બંગાળના જમાઈ હવે ભાજપ માટે બનશે ટ્રમ્પ કાર્ડ?
વરુણ ગાંધી અને પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. આ મુલાકાતને ‘બંગાળ કનેક્શન’ સાથે પણ જોડવામાં આવી રહી છે, કારણ કે વરુણ ગાંધીના પત્ની મૂળ બંગાળી છે અને વરુણ ગાંધી પોતે પણ ભૂતકાળમાં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે. ભાજપ બંગાળમાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે વરુણ ગાંધીને બંગાળ ચૂંટણી પ્રચારમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા
વરુણ ગાંધીનો ‘રાજકીય વનવાસ’ પૂર્ણ થવાના સંકેત
વરુણ ગાંધીના રાજકીય પ્રવાસ પર નજર નાખીએ તો, 2024ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળ્યા બાદ તેઓ પક્ષમાં એકબાજુ થઈ ગયા હતા. એક સમયે તેઓ કેન્દ્ર સરકારની નીતિઓ પર ખુલ્લેઆમ પ્રહારો કરીને પક્ષ સામે બળવાખોર વલણ અપનાવી રહ્યા હતા. પરંતુ, હવે વડાપ્રધાન મોદીને પોતાના ‘માર્ગદર્શક’ અને ‘અભિભાવક’ ગણાવીને તેમણે પક્ષ સાથેના સંબંધો સુધારવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ બદલાયેલા સંજોગો જોતા લાગે છે કે, આગામી સમયમાં ઉત્તર પ્રદેશની રાજ્યસભા બેઠકો અથવા પક્ષના સંગઠનમાં કોઈ મોટી જવાબદારી સોંપીને ભાજપ તેમનો રાજકીય વનવાસ સમાપ્ત કરી શકે છે.











