![]()
– સારવાર મળે તે પહેલા જ દમ તોડયો
– મૃતક બાળકની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુરા ગામે રામજી મંદિર પાસે આવેલી આંગણવાડી નજીક રમી રહેલા ૫ વર્ષના માસૂમ બાળકને પૂર ઝડપે આવતા એક ટ્રેક્ટરે ટક્કર મારતા કરૂણ ઘટના બની છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વસો પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રામપુરામાં જૂની નિશાળવાળા ફળિયામાં રહેતા ઉર્મીલાબેન પરમાર ગત રાત્રિના ૮.૩૦ વાગ્યાના સુમારે પોતાના નાના દીકરા ધામક અને ફળિયાની અન્ય બાળકીઓ સાથે રામજી મંદિર પાસે આવેલી આંગણવાડી નજીક ગયા હતા. આ સમયે બાળકો રમી રહ્યા હતા ત્યારે ગામના જ કિરીટભાઈ રમણભાઈ પટેલે પોતાનું ટ્રેક્ટર સધી માતાના મંદિર તરફથી અત્યંત સ્પીડમાં અને ગફલતભરી રીતે હંકારી લાવી રમતા બાળક ધાર્મિકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ માતાએ બૂમાબૂમ કરવા છતાં ચાલકે ટ્રેક્ટર ઉભું રાખ્યું નહોતું અને ગામના ભાગોળ તરફ નાસી છૂટયો હતો.
અકસ્માતને પગલે લોહીલુહાણ હાલતમાં પડેલા ૫ વર્ષના ધાર્મિકને જોઈને પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક ખાનગી ગાડીમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બાળકના કાન અને નાકમાંથી અતિશય રક્તસ્ત્રાવ થવાને કારણે તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. આ મામલે મૃતક બાળકની માતાએ વસો પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક કિરીટભાઈ રામભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.










