![]()
Gujarat Weather: રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને લીધે અનેક શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ભારે તાપથી હેરાન થઈ રહ્યા છે. જો કે, આગામી દિવસોમાં હવામાનમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે. મહત્ત્વનું છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.
તાપમાનમાં ઘટાડો થશે
છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં હાલ તાપમાન 36થી 38 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમી વધતી જાય છે, પરંતુ આ વખતે વાતાવરણમાં બદલાતા તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ હજુ પણ યથાવત્ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમારતો દેખાશે!
ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ
હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તેમજ પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા છે. જેના કારણે દિવસ દરમિયાન તાપમાનમાં થોડી રાહત મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નાગરિકોને ગરમીમાંથી થોડો આરામ મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે જ 18મીથી 20મી માર્ચ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. 18મી માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં માવઠું પડી શકે છે. 19મી માર્ચે કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જ્યારે 20મી માર્ચે ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે ઘઉં, જીરુ અને ચણા જેવા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.









