![]()
વડોદરા,સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા સંતરામપુરના બે વર્ષના બાળક અને વડોદરાની ૪ વર્ષની બાળકીના સારવાર દરમિયાન મોત થયા છે.સયાજીમાં અત્યારસુધી ૧૯ બાળકો સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ૧૧ બાળકોના મોત થયા છે.
સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ૩૦ દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા ૧૯ બાળકો સારવાર માટે દાખલ થયા છે. ઝાડા ઉલટી, તીવ્ર તાવ અને માથાના દુખાવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા ૧૯ બાળકો પૈકી હજી એકપણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. પરંતુ, બાળકોમાં ચાંદીપુરા જેવા જ લક્ષણો હોવાથી બાળકીની પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં તેઓની સારવાર શરૃ કરવામાં આવી હતી. વડોદરાની ૪ વર્ષની બાળકી અને સંતરામપુરના બે વર્ષના બાળકની સયાજીમાં સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન આજે બંનેના મોત થયા છે. વડોદરાની બાળકીના સેમ્પલ ગાંધીનગર ખાતે ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. જ્યારે સંતરામપુરના બાળકનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે. તેઓના પણ રિપોર્ટ પેન્ડિંગ છે.










