![]()
Ahmedabad News: અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા સારંગપુર બ્રિજના રીકન્સ્ટ્રકશન માટે આ વર્ષના જાન્યુઆરી મહિનાથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે. આ ઉપરાંત અસારવા, ગિરધરનગર બ્રિજ બંધ હોવાના કારણે ટ્રાફિકને ડાઈવર્ઝન આપવામા આવ્યુ છે.કાલુપુર રેલવે સ્ટેશનનુ કામ પણ ચાલી રહયુ છે. આ કારણથી કેટલાક રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. પશ્ચિમ અમદાવાદમાં ગુરૂવારથી સુભાષબ્રિજ પાંચ દિવસ ઈન્સપેકશન માટે બંધ કરાતા દધિચી બ્રિજ ઉપર ટ્રાફિક ડાઈવર્ટ કરાયો છે. આ કારણથી । શહેરીજનોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહયો છે.
ક્યાં-ક્યાં અપાયા ડાઇવર્ઝન?
સારંગપુરના બ્રિજને આ વર્ષના જાન્યુઆરી મહિનાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા પછી કાલુપુર ઉપરાંત સારંગપુર, ગોમતીપુર તેમજ સરસપુર સહિતના પૂર્વના વિસ્તારમાં જનારા શહેરીજનોને ટ્રાફિકને લઈ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ બ્રિજ અને કાલુપુર રેલવે સ્ટેશનની કામગીરીને લઈ ઠેક-ઠેકાણે બેરીકેડસ મૂકી રસ્તા બંધ કરી દેવાયા છે અથવા તો કયાંક ડાઇવર્ઝન આપવામાં આવ્યુ છે. આ કારણથી ઘરેથી વ્યવસાય કે નોકરીના સ્થળે પહોંચવું શહેરીજનો માટે કપરુ બની ગયુ છે.
આ પણ વાંચોઃ નારણપુરામાં બાઈકચાલકે જાણીજોઈને કાર સાથે બાઈક અથડાવી, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ ફરાર
કોટ વિસ્તારના પહેલેથી સાંકડા રોડ વધુ સાંકડા બનવાની સાથે રીલીફ રોડ અને કાલુપુર રેલવે સ્ટેશન સુધીના રસ્તા ઉપર ઓટો રીક્ષા સહિતના અન્ય વાહનોનું આડેધડ કરાતા પાર્કિંગને લઈને પણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બનતી જઈ રહી છે. સુભાષબ્રિજ બંધ કરાતા શાહીબાગથી લઈ છેક જૂના વાડજ સુધી જતા વાહન ચાલકો ગુરૂવારથી ભારે અવઢવની પરિસ્થિતિમાં મુકાયેલા જોવા મળી રહ્યા હતા.
ગાંધી આશ્રમ પ્રોજેકટને લઈ બંધ કરાયેલ રસ્તો ખોલવો જોઈએ
ગાંધી આશ્રમ રી ડેવલપમેન્ટ પ્રોજેકટને લઈ નવેમ્બર-2024થી આર.ટી.ઓ.સર્કલ પાસે આશ્રય હોટલથી લઈ ગાંધી આશ્રમ તરફ જવાનો રોડ સદંતર બંધ કરી દેવામા આવ્યો છે. રાણીપ અને આશ્રમ રોડ તરફ જવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સુભાષ બ્રિજ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. તેવી પરિસ્થિતિમાં ગાંધી આશ્રમ પ્રોજેક્ટને લઈ બંધ કરાયેલ રસ્તો ખોલાય તો ટ્રાફિક સમસ્યા હળવી થાય એવી લોકોની લાગણી છે.
વાડજ ફલાયઓવર બ્રિજ ને લઈ બંધ કરાયેલ રસ્તો ખોલી નાંખવો જોઈએ
શહેરના વાડજ જંક્શન ઉપર રૂપિયા 127 કરોડના ખર્ચથી ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી રચના કન્સ્ટ્રકશનને અપાઈ છે. 30 મહિનામાં આ ફ્લાય ઓવર બ્રિજની કામગીરી માર્ચ-26માં પૂરી થવાની સંભાવના છે. સુભાષ બ્રિજ બંધ થવાથી દધિચી બ્રિજ તરફ પણ સવારથી લઈ મોડી રાત સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં જૂના વાડજ, નવા વાડજ, અખબાર નગર અને રાણીપ વિસ્તારમાંથી કોટ વિસ્તાર તરફ જવા માંગતા લોકો માટે બંધ કરવામા આવેલો રસ્તો ખોલી નાંખવો જોઈએ.
આ પણ વાંચોઃ સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ
ઓવરબ્રિજની કામગીરીના કારણે એસ.જી.હાઈવે ઉપર ટ્રાફિક જામ
શહેરના એસ.જી.હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કારણથી ડાઇવર્ઝન અપાતા વાય.એમ.સી.એથી કર્ણાવતી ક્લબ સુધી સતત ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
હાટકેશ્વર બ્રિજ તોડવાની 70 ટકા કામગીરી પુરી
રૂપિયા 40 કરોડના ખર્ચે અજય ઈન્ફાકોન દ્વારા બનાવાયેલ હાટકેશ્વર બ્રિજ અનેક વિવાદ પછી શ્રી ગણેશ કન્સ્ટ્રકશન દ્વારા તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બ્રિજ તોડતા પહેલા કેટલાક રસ્તા ઉપર ડાઇવર્ઝન અપાયુ છે. જે કારણથી ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. બ્રિજ તોડવાની 70 ટકા કામગીરી પુરી કરાઈ છે.










