![]()
– મોડીરાત્રીના ધોધમાર વરસાદ પડયો, વરસાદે લોકોને નિંદર ઉડાડી
– કુંભારવાડા, કાળિયાબીડ, ધોબી સોસાયટી સહિતના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા દોડધામ
ભાવનગર : ભાવનગર શહેરમાં ગઈકાલે રવિવારે મોડીરાત્રીના ધોધમાર વરસાદ પડયો હતો, જેના પગલે કેટલાક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને દોડધામ મચી જવા પામી હતી. વરસાદે લોકોની નિંદર ઉડાડી દીધી હતી.
શહેરના ગત રવિવારે મોડીરાત્રીના ભારે વરસાદ પડયો હતો, જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. ધોધમાર વરસાદના પગલે કુંભારવાડાના માઢીયા રોડ પર નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. આ ઉપરાંત શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કેસરીયા હનુમાનજી મંદિર નજીક કંસારાના નાળા પાસેના કેટલાક મકાનોમાં પણ પાણી ઘુસી ગયા હોવાનુ જાણવા મળેલ છે. પાણી ભરાતા સ્થાનિક રહીશોએ રાત્રીના ૩ કલાકે મહાપાલિકાને જાણ કરી હતી અને સ્થાનિક લોકોએ પાણી નિકાલ માટે પ્રયાસ કર્યા હતાં. સવારે ડ્રેનેજ વિભાગનો સ્ટાફ સ્થળ પર ગયો હતો અને સફાઈ કામગીરી કરી પાણીનો નિકાલ કર્યો હોવાનુ સુત્રોએ જણાવેલ છે. આ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે અને કંસારાના કાંઠે પાણીના નિકાલ માટે પાઈપ પણ ઓછા છે ત્યારે વધુ પાઈપ મુકવા લોકો માંગણી કરી રહ્યાં છે.
શહેરની ધોબી સોસાયટી પાસે પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા અને બોરતળાવનું પાણી પણ આવ્યુ હતુ તેથી રોડ બંધ કરવો પડયો હતો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પરેશાની થઈ હતી અને લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
ગઢડા પંથકમાં પાકના ઉતારા સમયે વરસાદથી નુકશાન
રવિવારથી અચાનક બનેલા વરસાદી વાતાવરણને લઇ બે દિવસમાં ૨૪ મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે હાલનો સમય ખેતીપાકના ઉતારાનો હોય તે સમયે જ આફત વરસતા ધરતી પુત્રો ચિંતામાં મુકાયા હતા અને ખેતરોમાં તાબડતોબ મજુરો બોલાવી પાકને બચાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. સિઝનનો કુલ ૮૮૮ મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે આ માવઠાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં.
વલ્લભીપુરના પચ્છેગામ હળીયાદ વચ્ચેનું નાળુ તુટતા અવર જવર બંધ
હાલના વરસાદના કારણે પાણીના ભારે તાણ વચ્ચે પચ્છેગામ-હળીયાદ વચ્ચેના નાળા તુટી જતા ખેડૂતો પોતાના ખેતરે પણ જઇ શક્યા ન હતા અને અવર-જવર બંધ થઇ જવા પામી હતી. જ્યારે શહેર ખાતે બજરંગ ચોકડી પાસેનો બંધ પુલ અને ડાયવર્ઝન પણ વરસાદને કારણે બંધ થતા વલ્લભીપુર શહેરમાં ચાર ચાર કિમીની લાઇનોમાં ટ્રાફીક જામ થયો હતો. તો ઘેલો નદીમાં વ્યાપક પાણીની આવક થતા ડાયવર્ઝનને પણ નુકશાન થવા પામ્યું હતું.
ઘોઘાના કુકડ સહિતના ગામોના રોડ-રસ્તાનું વ્યાપક ધોવાણ
ભાવનગર જિલ્લાના દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં આવતા ઘોઘાના કુકડ અને આસપાસના ઓદરકા, નવાગામ, કંટાળા, ગોરીયાળી (રામપર) ગરીબપુરા, ભઆંખલ, વાવડી, પીથલપુર, છાયા, પાણીયાળી સહિતના વિસ્તારોમાં મેઘ તાંડવ રાત્રે એક વાગ્યે શરૂ થયેલો વરસાદ સતત ત્રણ કલાક વરસ્યો. રોડ રસ્તામાં ગાબડા પડયા અનેક રસ્તાઓ ધોવાયા.
બગડ નદીમાં ઘોડાપુર આવતા વરલ ગ્રામજનો ચિંતિત
રવિવાર સાંજથી ૧૨ કલાકમાં પડેલ મુશળધાર વરસાદના કારણે બગડ નદીમાં ઘોડાપુર આવ્યું હતું જેના કારણે વરલ ગામના ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાવા પામ્યું હતું. આ પાણી ગામની સીમમાં ફરી વળતા માલઢોર ચરવા જઇ શકે તેવી સ્થિતિ ન હોવાથી ભુખે ટળવળી રહ્યા છે જેથી તાકીદે સર્વે અને સહાય જાહેર કરવા માંગ કરાઇ છે.
ઉમરાળાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
નવા વર્ષના પ્રારંભે આવી ચડેલ વરસાદની આફત ખેડૂતો માટે પડયા પર પાટુ મારવા જેવો સાબિત થયો છે. રવિવારની રાતથી સોમવાર સાંજ સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસતા ગામના નીચાણવાળા અને અધુરા રહેલ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થવા પામ્યા હતાં. કમોસમી વરસાદના પગલે પાણીજન્ય રોગચાળાની પણ ભીતિ સેવાઇ રહી છે.
જેસરમાં 12 કલાકમાં 130 મીમી અનરાધાર વરસાદ
કમોસમી વરસાદના પગલે જેસરમાં આવેલ નદી-નાળા, ચેકડેમો છલકાયા હતા અને છેલ્લા ૧૨ કલાકમાં ૧૩૦ મીમી એટલે કે પાંચ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. તો લાકડીયા વિસ્તારમાં ગોઠણ સમા પાણીનો પ્રવાહ શરૂ થયો હતો તેમજ જેસરથી પાલિતાણા, રાજપરા ગામે આવેલ બેઠલા નાળા પણ પાણી ફરી વળતા ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર બંધ કરવો પડયો હતો. જે બેઠલા નાળાને ઉંચુ લાવવા જવાબદાર તંત્ર પણ આંખ આડા કાન ટીકાસ્પદ બન્યા છે. તો ગારિયાધાર શોર્ટ રૂટ પર રાણીગામ પાસેનું નાળુ ધોવાઇ જતા આ રૂટ પણ કલાકો સુધી બંધ રહ્યો હતો.
કમોસમી વરસાદને લઇ ખેડૂતોને સાવચેતી રાખવા તાકીદ
ભાવનગર : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧-૧૧ સુધી કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાકને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવા, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા, એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ તાકીદ કરી છે.










