![]()
Model Code Violations in Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ હતી. પરંતુ બે દિવસમાં હજુ સુધી કેટલીક બેન્કો, શાળા, દવાખાના, એસટી બસ તેમજ સ્ટેન્ડ, પેટ્રોલ પંપ, સરકારી તથા અર્ધ સરકારી સંસ્થાની કચેરીઓમાંથી શાસક પક્ષના મંત્રીઓ અને નેતાઓના નામ અને ફોટો સાથેના બોર્ડ-હોર્ડિંગ્સ હટાવાયા નથી. આમ, આદર્શ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે.
એસટી બસ, અન્નપૂર્ણા અને જન ઔષધી કેન્દ્ર વગેરે સ્થળોએ બેરોકટોક પ્રચાર
આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતા બે દિવસમાં તો રસ્તા સહિત વિવિધ સ્થળોએ સરકારી ખર્ચે લગાવેલા શાસક પક્ષના નેતાઓના ફોટો સાથેના બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતરી જવા જોઈએ. પરંતુ આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવામાં રાજ્ય ચૂંટણી આયોગ ઢીલ દાખવી રહ્યું હોય તેમ હજી વિવિધ સંસ્થાઓમાં તેમજ જાહેર સ્થળો પર સરકારી યોજનાઓનો લાભ દર્શાવતા મંત્રીઓ અને નેતાઓના ફોટોવાળા બોર્ડ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા
એસટી બસ, શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર, જન ઔષધી કેન્દ્ર, બસ સ્ટેન્ડ, કેટલીક બેન્ક, શાળા, હોસ્પિટલમાંથી આવા બોર્ડ હટાવાયા નથી. તેમજ દીવાલો પરથી રાજકીય નેતાઓના ચિત્ર ભૂંસાયા નથી. ઉપરાંત સિટી બસ સ્ટેન્ડ, સોસાયટીઓના બોર્ડ પરથી ધારાસભ્ય, કોર્પોરેટરના ફંડમાંથી બનાવેલા હોવાનો ઉલ્લેખ પણ દૂર કરાયો નથી. આટલું જ નહીં, વિવિધ સરકારી વિભાગોની ઓફિશિયલ વેબસાઈટ પર ફોટો પણ હજી યથાવત્ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.







