Mohan Bhagwat: એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું મુસ્લિમો અને ખ્રિસ્તી સમુદાયના લોકો પણ RSSમાં સામેલ થઈ શકે છે, ત્યારે તેમણે કહ્યું કે મુસલમાન અને ખ્રિસ્તી સમુદાય માટે પણ સંઘ ખુલ્લો છે. જોકે, આ દરમિયાન તેમણે એક શરત પણ મૂકી છે. આ પહેલા શનિવારે તેમણે કહ્યું હતું કે ભારતમાં કોઈ ‘અહિન્દુ’ નથી, કારણ કે બધા એક જ પૂર્વજોના વંશજ છે અને દેશની મૂળ સંસ્કૃતિ હિન્દુ છે.
શાખામાં માત્ર ‘ભારત માતાના સપૂત’
રવિવારે મોહન ભાગવતે કહ્યું કે, ‘મુસ્લિમ, ખ્રિસ્તી, કોઈ પણ સંઘમાં જોડાઈ શકે છે. પણ પોતાની અલગ ઓળખ બહાર મૂકીને આવે. તમારી વિશેષતાનું સ્વાગત છે, પરંતુ જ્યારે સંઘમાં આવો છો, ત્યારે ભારત માતાના દીકરા અને હિન્દુ સમાજના સભ્ય તરીકે આવો. મુસ્લિમ શાખામાં આવે છે, ખ્રિસ્તીઓ પણ આવે છે, જેમ બાકી હિન્દુ સમાજની જાતિઓના લોકો આવે છે. પરંતુ અમે એ ગણતરી કરતા નથી કે કોણ આવ્યું અને કોણ નહીં. આપણે બધા ભારત માતાના દીકરા છીએ, સંઘ આ રીતે જ કામ કરે છે.’
સંઘ: જાતિ નહીં, ધર્મ પર સ્પષ્ટતા
આ દરમિયાન તેમણે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે સંઘ જાતિ વ્યવસ્થામાં વિશ્વાસ રાખતો નથી, પરંતુ ધર્મ પર તેમણે સ્પષ્ટતા કરતા ભાગવતે કહ્યું કે, ‘સંઘમાં કોઈ બ્રાહ્મણ નથી, કોઈ બીજી જાતિ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ ખ્રિસ્તી નથી… માત્ર હિન્દુઓ છે.’
આ વાત ભાગવતે સંઘના પ્રશ્ન-જવાબ સત્રમાં કહી, જ્યાં તેમણે સંઘના રજીસ્ટ્રેશન (નોંધણી), રાજકીય ઝુકાવ અને અન્ય ધર્મો સાથેના સંબંધો પર પણ જવાબો આપ્યા હતા.
આ પણ વાંચો: મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું
સંઘનું કામ સમાજને જોડવાનું છે
આ દરમિયાન સંઘ પ્રમુખે RSSને રાજકારણથી અલિપ્ત ગણાવ્યું. તેમણે કહ્યું કે, ‘સંઘ કોઈ રાજકીય પાર્ટીનું સમર્થન કરતો નથી. અમે માત્ર એ જ નીતિઓનું સમર્થન કરીએ છીએ જે રાષ્ટ્રહિતમાં હોય. સંઘ વોટ કે ચૂંટણીના રાજકારણમાં ભાગ લેતો નથી, કારણ કે રાજકારણ સમાજને વહેંચે છે અને સંઘનું કામ સમાજને જોડવાનું છે.’
ભલે ભાગવત સંઘને રાજકારણથી દૂર ગણાવી રહ્યા હોય, પરંતુ ભાજપ અને સંઘના જોડાણને નકારી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ એટલા માટે થયો હતો કે જનતા પાર્ટીમાં સામેલ અટલ-અડવાણીની જનસંઘે ખુદને RSSથી અલગ કરવાની ના પાડી દીધી હતી.











