![]()
Indian Stock Market : ભારતીય શેરબજાર માટે બુધવારે રોકાણકારોને મોજ પડી ગઈ છે. છેલ્લા કેટલાક કલાકોમાં બજારમાં જોવા મળેલી તોફાની તેજીને કારણે રોકાણકારો સંપત્તિમાં તોતિંગ વધારો થયો છે. સેન્સેક્સ 487.20 પોઈન્ટ (0.60%)ના ઉછાળા સાથે 82,344.68 પર, જ્યારે નિફ્ટી 167.35 પોઈન્ટ (0.66%) વધીને 25,342.75ની સપાટીએ બંધ થયો છે.
કયા શેરોમાં ઉછાળો?
બીએસઈ ટોપ-30 શેરોમાંથી 8માં ઘટાડો, જ્યારે 22 શેરોમાં તેજી જોવા મળી છે. BELનો શેર સૌથી વધુ 8.90 ટકા ઉછળીને 453 રૂપિયા પર પહોંચ્યો હતો. આ સિવાય ETERNALનો શેર 5 ટકા વધારા સાથે 266 રૂપિયા પર, જ્યારે બજાજ ફાઈનાન્સ, ફિનસર્વ, ટ્રેન્ટ અને પાવરગ્રિડમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકી, સનફાર્મા, ઈન્ફોસિસ, એરટેલ જેવા શેરો ઘટાડા સાથે બંધ થયા છે.
મિડ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર તેજી
શેરબજારમાં મિડ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી. નિફ્ટી મિડકેપ 100માં 954 પોઈન્ટનો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100માં 371 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. આ કારણોસર રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે.
આ પણ વાંચો : સોનું પહેલીવાર રૂ. 1.60 લાખને પાર, ચાંદીએ પણ જૂના તમામ રેકોર્ડ તોડ્યા; જાણો લેટેસ્ટ ભાવ
રોકાણકારોની સંપત્તિમાં તોતિંગ વધારો
બજારમાં આવેલી આ તેજીને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 453.67 લાખ કરોડથી વધીને 459.64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આમ, માત્ર એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે 6 લાખ કરોડ રૂપિયાનો ધરખમ વધારો થયો છે.
શેરબજારમાં ઉછાળો થવાનું કારણ
બજારના નિષ્ણાતોના મતે, શેરમાર્કેટમાં તેજી પાછળનું સૌથી મોટું કારણ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલી ફ્રી ટ્રેડ ડીલ છે. આ કરાર હેઠળ બંને પક્ષો મોટાભાગની વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા અથવા શૂન્ય કરવા માટે સહમત થયા છે. આ ડીલથી ભારતના નિકાસમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જેની સીધી સકારાત્મક અસર બજારના સેન્ટિમેન્ટ પર જોવા મળી છે.
આ શેરોમાં 20 ટકાનો ઉછાળો
આજે સ્ટારલાઇટના શેર 20 ટકા વધીને રૂ.103 પર પહોંચી ગયા છે. તેજસ નેટવર્ક્સના શેર 15 ટકા અને ડેટા પેટર્ન્સના શેર 13.63 ટકા વધ્યા છે. આ ઉપરાંત હિન્દુસ્તાન કોપરના શેરમાં 12.67 ટકાનો વધારો થયો છે. ઓઈલ ઇન્ડિયાના શેર 9 ટકા અને મોતીલાલ ઓસ્વાલના શેર 8 ટકા વધ્યા છે.










