![]()
અમદાવાદ, રવિવાર
પાલડી ભઠ્ઠા પાસે બે દિવસ પહેલા વહેલી સવારે સાત જેટલા લોકોએ નૈષલ ઠાકોર નામના યુવક પર તલવાર છરીના ઘા ઝીંકીને તેના પર કાચ ચઢાવીને હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ પાલડી પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને ડીસીપી ઝોન-૭ની અલગ અલગ ટીમે બાતમીના આધારે આબુ રોડ, બોપલ તેમજ અન્ય વિસ્તારમાંથી એક સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર અને હથિયાર જપ્ત કરી છે.
પાલડીમાં રહેતા નૈષલ ઠાકોર નામના યુવકની ગત ૧૨મી તારીખે વહેલી પરોઢે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. ભઠ્ઠા જેવા વિસ્તારમાં જાહેરમાં હત્યાનો બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સીસીટીવી ફુટેજ એનાલીસીસ તેમજ કોલ ડીટેઇલ જેવી માહિતીના આધારે તપાસ કરીને આરોપીઓને ઓળખીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ડીસીપી ઝોન-૭ શીવમ વર્માએ જણાવ્યું કે ડીસીપી ઝોન-૭ સ્ક્વોડ, પાલડી પોલીસ અને ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે આબુ રોડ, બોપલ અને અન્ય સ્થળેથી એક સગીર સહિત સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી અજય ઠાકોર (રહે.ઠાકોરવાસ, ચામુંડા ચોક,વાસણા), શૈલેષ ઠાકોર (રહે. ઇન્દીરાનગર, મકરબા), સૌરવ ઠાકોર (રહે. ઇન્દીરાનગર,મકરબા), રોહન ઠાકોર, મહેશ ચૌહાણ અને સંજય ઠાકોરનો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નૈષલે વર્ષ ૨૦૧૬માં અજય ઠાકોરના ભાઇની હત્યા કરી હતી. જેથી અજય ઠાકોરે તેનો બદલો લેવાનું નક્કી કરીને બાધા રાખી હતી કે જ્યાં સુધી તે તેના ભાઇની હત્યાનો બદલો નહી લે ત્યાં સુધી માથાના વાળ નહી કપાવે. આ દરમિયાન તેણે અનેકવાર રેકી કરીને નૈષલને મારવાનો પ્લાન ઘડયો હતો. પરંતુ, સફળ થયો નહોતો. પરંતુ, ગત ગુરૂવારે રાતના સમયે તેને માહિતી મળી હતી કે નૈષલ ભઠ્ઠા તેના મિત્રો સાથે આવવાનો છે. જેથી વોચ ગોઠવીને અલગ અલગ લોકોને એકઠા કરીને તક મળતા તેના પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પાલડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.










