![]()
વડોદરા,આજવા ચોકડી પાસે બાઇક પર જતા સસરા અને પુત્રવધૂને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટ્રકના પૈંડા માથા પર ફરી વળતા પુત્રવધૂનું સ્થળ પર જ મોત થયું હતું.સુભાનપુરા ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષના શાંતિલાલ કરસનભાઇ સોલંકી વઘોડિયાની એક કંપનીમાં ફિટર તરીકે નોકરી કરે છે. તેમની પુત્રવધૂ પ્રિન્સા કુંદનકુમાર પરમાર (ઉં.વ.૩૧) ખાનગી કોલેજમાં નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. શાંતિલાલ કંપની પર જતા હોઇ રોજ પુત્રવધૂને પણ તેમની સાથે લઇ જઇ કોલેજ પર ડ્રોપ કરી દેતા હતા. આજે સવારે પોણા આઠ વાગ્યે તેઓ બાઇક લઇને નીકળ્યા હતા. ગંેડા સર્કલ, ન્યુ વી.આઇ.પી. રોડ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા થઇ તેઓ આજવા ચોકડી તરફ જતા હતા. તે દરમિયાન પૂરઝડપે આવતી એક ટ્રકના ડ્રાઇવરે તેઓની બાઇકને ટક્કર મારતા શાંતિલાલ અને તેમની પુત્રવધૂ રોડ પર ફંગોળાઇને પડયા હતા. ટ્રકના તોતિંગ પૈંડા પ્રિન્સા પર ફરી વળતા માથા અને હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી. તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. લોકોએ ટ્રકને રોકી ડ્રાઇવરને પકડી રાખ્યો હતો. બાપોદ પોલીસે સ્થળ પર જઇ ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લઇ આવી ગુનો દાખલ કર્યો હતો









