Surat News : આધુનિકતાના ફાઇવ-જી યુગમાં ભલે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી હોય, પરંતુ સુરતીઓની શીતળા સાતમ પ્રત્યેની વર્ષો જૂની શ્રદ્ધા અને માન્યતાઓ આજે પણ અકબંધ છે. તાપી નદીના કિનારે આવેલા નાવડી ઓવારા ખાતે છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયથી શીતળા માતાની પૂજાની પરંપરા જીવંત રહી છે, જ્યાં આજે પણ જૂની પેઢીની સાથે નવી પેઢીના યુવાનો પણ ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરતા જોવા મળે છે.
સદીઓ જૂની માન્યતાઓ અને પૂજા વિધિ
સુરતમાં મુખ્યત્વે બે શીતળા સાતમ ઉજવાય છે, પરંતુ મોટાભાગના સુરતીઓ પહેલી સાતમની ઉજવણીને પ્રાધાન્ય આપે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં શીતળા માતાના મંદિરોમાં પૂજા થાય છે, પરંતુ મૂળ સુરતીઓ માટે નાવડી ઓવારાનું મહત્વ અનોખું છે. 1968થી નાવડી ઓવારા ખાતે શીતળા સાતમની પૂજા કરાવતા કનુભાઈ ભટ્ટ જણાવે છે કે, તેમના પિતાજી પણ અહીં જ પૂજા કરાવતા હતા, અને આ પરંપરા આજે પણ ચાલી આવે છે.
આ પૂજામાં તાવનો ટાંકો, બરફ, ટીંડોળા-ગલકાના વેલા જેવી પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ દિવસે ખાસ કરીને એક દિવસ પહેલા બનાવેલો ઠંડો ખોરાક આરોગવામાં આવે છે અને ચૂલ્હો કે ગેસ ચાલુ કરવામાં આવતો નથી. આ રિવાજ પાછળ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય સંબંધિત કારણો પણ જોડાયેલા છે.

શીતળા સાતમ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
હિંદુ સંસ્કૃતિના અનેક તહેવારોની જેમ, શીતળા સાતમ પણ માત્ર ધાર્મિક માન્યતા પર આધારિત નથી, પરંતુ તેની પાછળ ઊંડું વૈજ્ઞાનિક તર્ક છુપાયેલું છે. જાણકારોના મતે, ચોમાસા દરમિયાન રોગચાળાનું જોખમ વધુ હોય છે, ખાસ કરીને ચામડીના રોગો થવાની શક્યતા વધી જાય છે. આ દિવસે ઠંડો ખોરાક ખાવાથી પાચનતંત્રને આરામ મળે છે.
આ પણ વાંચો: હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગીરી બાપુની મુદત આજે પૂર્ણ
વળી, પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવો ખોરાક જેમ કે ગલકા, ટીંડોળા, વટાણા, રોટલી વગેરે શરીરને ગરમીથી બચાવે છે અને પાચનતંત્ર પર ભાર પડતો નથી. આ રીતે શીતળા સાતમનો તહેવાર સ્વાસ્થ્ય જાળવણી અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધવાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે આજે પણ સુરતીઓના જીવનનો અભિન્ન અંગ બની રહ્યું છે.










