![]()
– બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ, ઓસઓજી સહિત પોલીસના ધાડેધાડા રોડ પર ઉતર્યાં
– કર્મચારીઓ અરજદારોને સુરક્ષિત બહાર કાઢી બોમ્બની ધમકી અંગે પોલીસે પોસ્ટ ઓફિસમાં બે કલાક સુધી ચેકિંગ કર્યું, ધમકી પોકળ પૂરવાર થઇ
સુરેન્દ્રનગર : રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી કોર્ટ, સ્કૂલ અને કલેક્ટર ઓફિસ વગેરેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે. જો કે આ ધમકીઓ કોણ આપે છે તે આજ સુધી તંત્ર શોધી શક્યુ નથી. આ ઘટનાક્રમ વચ્ચે સુરેન્દ્રનગરની હેડ પોસ્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં તકેદારીના ભાગરૂપે પોસ્ટ અને પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં પોલીસ દ્વારા એન્ટી સબોટેજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે ધમકી પોકળ પૂરવાર થઇ હતી.
આજે વહેલી સવારે પોસ્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક ધમકીભર્યો મેઇલ મળ્યો હતો, જેમાં બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ ફરજ બજાવતા કર્મચારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરી ૮૦ જેટલા કર્મચારીઓ અને અરજદારોને સલામત રીતે બહાર કાઢી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું.
આ ઘટનાને પગલે પોસ્ટ ઓફિસના દરવાજા બંધ કરી દેવાયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર એસ.ઓ.જી., સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બી.ડી.ડી.એસ., એસ.ઓ.જીની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ડોગ સ્કોડની મદદથી પોસ્ટ ઓફિસના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. પાસપોર્ટ વિભાગ અને ટપાલ વિભાગની તમામ ફાઈલો, પાર્સલો અને ફનચરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલાકોની જહેમત અને સઘન ચેકિંગ બાદ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા ન હતા.
સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર રાજેન્દ્ર સૈનીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ અને તપાસ ટીમોના ગહન સર્ચ ઓપરેશન બાદ બિલ્ડિંગ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. કોઈ પણ જોખમી વસ્તુ મળી નથી, જેથી સ્થિતિ સામાન્ય થતા ફરીથી પોસ્ટની કામગીરી શાંતિપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવી છે.’










