![]()
Surendranagar Accident : સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાઓ રક્તરંજિત બનવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, પાટડી તાલુકાના નાવીયાણી ગામ નજીક એક પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક ( ગામ એરવાડા, ઉંમર- 25 વર્ષ અને મયુરભાઇ નરશીભાઈ દેવીપૂજક ( ગામ એરવાડા, ઉંમર- 21વર્ષ ) બે સગા ભાઈના મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું હતું. જોકે અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતના બનાવની જાન થતાં આસપાસમાંથી સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જાગૃત નાગરિકોએ તાત્કાલિક ધોરણે આ અંગે પોલીસ અને એમ્બુલન્સને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









