Rahul Gandhi And Election Commission Confronts: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ મૂક્યો હતો. ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતમાં દેશમાં મતોની ચોરી થઈ રહી હોવાનો આરોપ પુરાવા સાથે રજૂ કર્યો હતો. જેના પર જવાબ આપતાં કર્ણાટક ચૂંટણી પંચના અધિકારીએ રાહુલ ગાંધીને ઓરોપોના પુરાવા પર હસ્તાક્ષર સાથેનું સોગંદનામું રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની સોગંદનામાની માગણી પર પણ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, હું લોકોને જે કહું છું, તે મારું વચન છે, તેને સોગંદનામા સ્વરૂપે સ્વીકારી લો. આ ચૂંટણી પંચનો ડેટા છે. અને અમે તેમનો ડેટા જોઈ રહ્યા છીએ.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ
સોગંદનામું આપો નહીં તો…
ચૂંટણી પંચે બેંગ્લુરૂ સેન્ટ્રલના દાવા મુદ્દે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરતાં કહ્યું કે, તમે જે પુરાવા રજૂ કર્યા છે, તેના પર હસ્તાક્ષર કરી સોગંદનામું આપો. જેથી અમે આગળની કાર્યવાહી હાથ ધરી શકીએ. જો આરોપો ખોટા સાબિત થયા તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેજો.
રાહુલ ગાંધીનો પલટવાર…
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા સોગંદનામાની માગણી પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું રાજકારણી છું. હું જે પણ કહું છું, જાહેરમાં કહું છું. તે મારા વચનો છે. આ તેમનો ડેટા છે. અમે તેમનો ડેટા બતાવ્યો છે. આ અમારો ડેટા નથી. ચૂંટણી પંચનો ડેટા છે. આ ચોંકાવનારું છે કે, તેઓ આ માહિતીનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેઓ એવું નથી કહી રહ્યા કે, હું મતદાર યાદી વિશે જે કંઈપણ બોલ્યો છું તે ખોટું છે. પણ તેના બદલે તેઓ એવું પૂછી રહ્યા છે કે, શું આ મારા સોગંદનામા હેઠળ છે. તેઓ મને ખોટો કેમ નથી કહી રહ્યા. કારણકે તેઓ જાણે છે કે, સત્ય શું છે. અને તેઓને ખબર છે કે, તેઓએ આ દેશમાં શું કર્યું છે.
રાહુલ ગાંધીએ પુરાવા રજૂ કરી મતોની ચોરીનો આરોપ મૂક્યો
રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચ દ્વારા મતોની ચોરી થઈ રહી હોવાનો આરોપ મૂકતા પુરાવા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભાની મહાદેવપુરા વિધાનસભા ચૂંટણીમાં 6.5 લાખ મતદાન થયું હતું. જેમાં એક લાખ મત વધુ હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે, એક લાખથી વધુ મતદારો ડુપ્લીકેટ હતા, તેમજ ઘણાના સરનામા ખોટા હતા. જેમાં વધુ તપાસ હાથ ધરતાં જણાયું કે, 40 હજાર મકાનોના સરનામા જ શૂન્ય છે. ડુપ્લિકેટ મતદારોની સંખ્યા વધુ છે. 11 હજાર લોકોએ ત્રણ વખત મત આપ્યો હતો. એક જ એડ્રેસ પર 46 લાખ મતદારો અને એક જ રૂમના ઘરમાં 80 મતદારો હતા. મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમયી છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતોની ચોરી થતાં અમે ચૂંટણી હાર્યા. મતદાર યાદી મુદ્દે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ અને જણાવવું પડશે કે, મતદાર યાદી યોગ્ય છે કે, ખોટી? ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા કેમ નથી આપતી? અમે પંચ પાસે વારંવાર ડેટા મંગાવ્યો હતો, પરંતુ તેમણે આપ્યો નહીં. તેમજ જવાબ આપવાનો પણ ઇન્કાર કરી દીધો.










