![]()
ઈરાન યુદ્ધમાં મૃત્યુ પામેલા દીક્ષિતના પાર્થિવ દેહને મેળવવા પરિવાર હાઈકોર્ટમાં : મૂળ દિવના પણ હાલ મુંબઈ રહેતા સોલંકી પરિવારને મદદને બદલે એજન્સીઓ તથા કંપની ખો ખો રમે છે
મુંબઈ, : ઈરાન-ઈઝરાયેલની લડાઈ દરમિયાન દરમિયાન ગયા મહિને ઓમાન કિનારે શંકાસ્પદ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા મૂળ દિવના પરંતુ હાલ મુંબઈના કાંદિવલીમાં રહેતા 32 વર્ષીય યુવક દીક્ષિત સોલંકીના પરિવારે તેનો પાર્થિવ દેહ લાવવા કેન્દ્ર સરકારને આદેશ આપવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.
દીક્ષિત સોલંકીના પિતા અને બહેન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી છઠ્ઠી એપ્રિલે મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખરની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચોથી માર્ચે વિસ્ફોટકોથી ભરેલી ડ્રોન બોટ ઓઇલ ટેન્કર એમટી એમકેડી વ્યોમ સાથે અથડાતાં દીક્ષિત સોલંકીનું મોત થયું હતું. ખારવા સમાજનો અને મુૂળ દિવસના ભાવસાર વાડાનો રહેવાસી દીક્ષિત સોલંકી આ લડાઈનો ભોગ બનનાર તે પ્રથમ ભારતીય હોવાનું કહેવાય છે. તેના પરિવારજનો મુંબઈનાં કાંદિવલીના મહાવીર નગરની પારિજાત સોસાયટીમાં રહે છે.
અરજીમાં જણાવાયું છે કે સંબંધિત એજન્સીઓ દ્વારા દીક્ષિતના મૃતદેહને ભારત લાવવા અંગે કોઈ સ્પષ્ટતા અપાતી નથી. પોતાની અરજીમાં સોલંકી પરિવારે એવી પણ માંગ કરી છે કે તમામ તપાસ અને ફોરેન્સિક રેકોર્ડ તેમની સાથે શેર કરવામાં આવે.આ અરજી વિદેશ મંત્રાલય, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, શિપિંગ મહાનિર્દેશાલય અને વી શિપ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ દાખલ કરવામાં આવી છે, જે એમટી એમકેડી વ્યોમ જહાજનું સંચાલન કરે છે. અરજીમા દલીલ કરવામાં આવી હતી કે મૃત્યુ પછી પણ વ્યક્તિ માટે ગૌરવનો મૂળભૂત અધિકાર રહે છે અને તેથી, અધિકારીઓની ફરજ છે કે તેઓ નશ્વર અવશેષો સમયસર પરિવારને પરત કરે. દરિયા વચ્ચે મૃત્યુના કિસ્સામાં સંબંધિત વ્યક્તિના પાર્થિવ દેહને સ્વદેશ પરત મોકલવામાં આવે તે દરિયાઈ નિયમો અને માર્ગદર્શિકાઓમાં પણ જણાવાયું છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારોને મૃતક પરિવારના સભ્યના નશ્વર અવશેષો મેળવવાનો અને ભારતના બંધારણની કલમ 21 હેઠળ અપાયેલી બાંહેધરી પ્રમાણે અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર છે. તેમાં ઉમેર્યું હતું કે ઘટનાને લગભગ એક મહિનો થઈ ગયો છે, અને સોલંકીના પરિવારના સભ્યોને હજુ સુધી તેમના અવશેષો મળ્યા નથી. અરજીકર્તાઓ મૃતકના અંતિમ સંસ્કાર કરવા માટે તેમના અવશેષોની યોગ્ય સ્થિતિ અને સ્વદેશ પરત મોકલવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાદોડ કરી રહ્યા છે. જોકે, અધિકારીઓ ફક્ત એકબીજાને ખો આપી રહ્યા છે,એમ અરજીમાં જણાવાયું છે.
તેમાં ઉમેર્યું હતું કે નશ્વર અવશેષો સોંપવામાં વિલંબ થઈ રહ્યો છે. આ કિસ્સામાં સરકારી તંત્ર સંપૂર્ણ અપારદર્શક રીતે કામ કરી રહ્યું છે. તેમની પૃચ્છાઓનો અધિકારીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, હકીકતમાં, અધિકારીઓએ મૃતકોના નશ્વર અવશેષોને સાચવવા માટે કોઈ નક્કર પગલાં લીધા નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઘટના પછી, પરિવારને જહાજની માલિકીની કંપનીને અનેક ઇમેઇલ્સ લખવા છતાં સ્પષ્ટ જવાબો મેળવવામાં મુશ્કેેલી પડી રહી છે. પરિવારને કંપની તરફથી ફક્ત એવા જવાબો મળ્યા કે મૃતદેહોને પાછા લાવવા અને સ્વદેશ મોકલવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ, આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી.










