![]()
– ફિલ્મી કહાની જેમ ઠંડા કલેજે અંજામ આપનાર હત્યારા જંગલ ખાતાનો અધિકારી ઝડપાયો
– એસીએફએ ક્રુર હત્યા કર્યાં બાદ ત્રણેય મૃતદેહને ખાડામાં દાટી ઉપર ગાદલા ઢાંકી મોરમ નખાવી દીધી
ભાવનગર : નવ માસ પૂર્વે પ્રમોશન સાથે વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ભાવનગર પોસ્ટિંગ મેળવીને આવેલા ક્રુર પતિએ હેવાનિયતની હદ વટાવી ઘરકંકાસ જેવી સામાન્ય બાબતમાં પત્ની અને બે માસૂમ સંતાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થયો છે. જંગલ ખાતાના અધિકારીએ ફિલ્મી કહાની જેમ ઠંડા કલેજે હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહને જમીનમાં દાટી દઈ ગાદલા ઢાંકી મોરમ નખાવી પુરાવાઓનો નાશ કર્યો હોવાની પોલીસના હાથે ઝડપાયેલા હત્યારા શખ્સે હકીકત કબૂલી છે.
ભાવનગર શહેરમાં ચકચાર મચાવનાર કિસ્સાની હકીકત એવી છે કે, મૂળ સુરતમાં રહેતો અને નવ માસ પૂર્વે એસીએફનું પ્રમોશન મેળવી ભાવનગર આવેલો શૈલેષ બચુભાઈ ખાંભલાએ પત્ની નયનાબેન (ઉ.વ.૪૨), દીકરી પૃથા (ઉ.વ.૧૩) અને દીકરો ભવ્ય (ઉ.વ.૦૯)ને મોતને ઘાટ ઉતરવાનું કાવતરું રચી પત્ની અને બન્ને સંતાન વેકેશન કરવા ભાવનગર આવ્યા ત્યારે ગત તા.૫-૧૧થી તા.૬-૧૧ના સમયગાળા દરમિયાન પત્ની અને બાળકોને ગળું દબાવી ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખ્યા બાદ શૈતાનને પણ શરમાવે તેવી રીતે હેવાન પતિએ તેના પત્ની અને બે બાળકોને રહેણાંક ક્વાર્ટરની બાજુના ખાડામાં ફેંકી મૃતદેહો ઉપર ગાદલા ઢાકી તેના ઉપર મોરમ નખાવી ખાડા બૂરી પુરાવાનો નાશ કર્યો હતો. ત્યારબાદ પાપ છૂપાવવા આયોજનપૂર્વક પોલીસ સ્ટેશનમાં પોતાના પત્ની, પુત્રી અને પુત્ર ગુમ થયા અંગેની જાહેરાત આપી ખોટા કથનો પોલીસને ગુમરાહ કરી હતી.
તદ્દુપરાંત શૈલેષ ખાંભલાએ પોતાના પત્નીના મોબાઈલમાં ખોટા ગેરમાર્ગે દોરતા મેસેજ કર્યા હોવાનું ખુલવા પામ્યું છે. ભરતનગર પોલીસે શૈલેષ ખાંભલાની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરતા ઘરકંકાસને લઇ પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવ સંદર્ભે ભરતનગર પોલીસ મથકના એએસઆઈ કિરણભાઈ બાલુભાઈ સોઢાતરે શૈલેષ ખાંભલા વિરૂદ્ધ ભાવનગર પોલીસ મથકમાં બીએસએનની કલમ ૧૦૩ (૧), ૨૩૮ (એ), ૨૪૦, ૨૧૬ મુજબ ફરિયાદ નોંધાવી છે.
સિક્યુરીટી ગાર્ડે રિક્ષામાં જતાં જોયાની કેફિયત આપેલી
પત્ની અને બાળકોનું ખૂન કરનાર વન વિભાગનો અધિકારી શૈલેષ ખાંભલા પોલીસને ગોથે ચડાવવા ઘણાં ખેલ પાડયા હતા. તેણે પોલીસને એવું જણાવ્યું પણ હતું કે, અમારા સિક્યુરિટી ગાર્ડે પત્ની અને બાળકોને રિક્ષામાં જતા જોયા છે, પોલીસને તેના આ નિવેદન ઉપર શંકા જતાં સિક્યુરીટી ગાર્ડને બોલાવી તેની પૂછપરછ કરતા શૈલેષે જણાવેલી હકીકતથી તેનું નિવેદન સંપૂર્ણપણ વેગળું નીકળ્યું હતું. આમ, શૈલેષ ખાંભલાએ પોલીસને ગેરમાર્ગે દોરવા સમગ્ર તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું.
કોલ્ડ બ્લ્ડેડ ટ્રિપલ મર્ડર કરનાર એસીએફને પસ્તાવો નથી
ફોરેસ્ટ અધિકારીએ પોતાની પત્ની અને બાળકોની ઠંડા કલેજે હત્યા કરી ખાડામાં પથ્થર બાંધી મૃતદેહ પર ગાદલા મૂકી ખાડાને ઢાંકી દીધો હતો. કોલ્ડ બ્લ્ડેડ ટ્રિપલ મર્ડર કરનાર શૈલેષ ખાંભલા પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે પત્ની અને બાળકોની હત્યા કર્યાનો પસ્તાવો નથી અને પોલીસ સમક્ષ એક પછી એક રાજ ઓકવા લાગ્યો છે.










