![]()
વડોદરા : આઇપીઓ તેમજ ઓન લાઇન ટ્રેડિંગમાં રોકાણ કરશો તો દસ ટકાથી વધુનું
વળતર મળશે તેમ જણાવી રૃ. ૧.૭૯ કરોડની છેતરપિંડી
કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે આરોપીની જામીન
અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, કેસની
તપાસ હજી પ્રાથમિક તબક્કામાં છે અને આરોપીને આ તબક્કે મુક્ત કરવાથી ડિજિટલ પુરાવા
સાથે ચેડાં થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
કેસની વિગત એવી છે કે, ઘનશ્યામભાઈ આદરોજાએ સાયબર ક્રાઇમ પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ તેમને આઇપીઓ તેમજ
ટ્રેડિંગમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેમ જણાવી વોટ્સએપ ગ્પમાં શામેલ કરી
રોકાણના બહાને તેમની પાસેથી રૃ. ૧.૮૧ કરોડની રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર
કરાવી હતી અને ત્યાર બાદ માત્ર ૨.૨૨ લાખ પરત કર્યા હતા અને રૃ. ૧.૭૯ કરોડની
છેતરપિંડી કરી હતી.
આ બનાવમાં પોલીસે અમદાવાદના રહેવાસી આરોપી વિવેક કનૈયાલાલ
યાદવની ધરપકડ કરી હતી. હાલ જેલમાં રહેલા આરોપી વિવેક યાદવે જામીન અરજી મૂકતા
ન્યાયાધીશે આરોપીની જામીન અરજી રદ કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીના
કબજામાંથી એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ
ટ્રાન્ઝેક્શન માટે થયો હતો. આ ઉપરાંત, આરોપીના મોબાઇલમાંથી
ઇમેઇલ આઈડી અને અન્ય ત્રણ મોબાઇલ ફોનમાંથી અન્ય વ્યક્તિઓની નાણાકીય માહિતી મળી આવી
હતી. જેના કારણે, આરોપીની પ્રાથમિક દૃષ્ટિએ સંડોવણી જણાઈ આવે
છે.










