![]()
Harish Rana Dies: ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં રહેતા હરીશ રાણાનું દિલ્હી AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ)માં નિધન થયું છે. PTIના સૂત્રો મુજબ આ માહિતી જાહેર કરવામાં આવી છે. હરીશ રાણા એવા વ્યક્તિ હતા જેમને સુપ્રીમ કોર્ટ તરફથી ઈચ્છા મૃત્યુની પરવાનગી મળી હતી. 13 વર્ષથી વધુ સમય સુધી કોમામાં રહ્યા બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમણે આજે 24 માર્ચના રોજ અંતિમ શ્વાસ લીધા છે.
10 દિવસથી અન્ન-જળ અપાયું ન હતું!
માહિતી મુજબ, ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાને 14 માર્ચે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 માર્ચથી તેમનો પ્રવાહી ખોરાક અને 17 માર્ચથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
પેસિવ યુથેનેશિયા માટે ખાસ મેડિકલ ટીમ બનાવાઇ હતી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એઈમ્સના ડોક્ટરોએ હરીશ રાણાનો લાઈફ સપોર્ટ હટાવવા માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન દર્દીની ગરિમા જળવાઈ રહે તે માટે ડો. સીમા મિશ્રાના નેતૃત્વમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સતત દેખરેખ રાખી રહી હતી. એનેસ્થેસિયાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયામાં પોષણ ધીમે ધીમે ઘટાડીને બંધ કરવામાં આવે છે અને પીડા રાહતની દવાઓ ચાલુ રખાય છે.
વર્ષ 2013થી કોમામાં હતા હરીશ રાણા
31 વર્ષીય હરીશ રાણા વર્ષ 2013માં પંજાબ યુનિવર્સિટીમાં B.Techના વિદ્યાર્થી હતા ત્યારે ચોથા માળની બાલ્કનીમાંથી પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તેઓ કોમામાં છે. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે તેમને ‘પેસિવ યુથેનેશિયા’/ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા માટે મંજૂરી આપી હતી, કારણ કે તેઓ લાંબા સમયથી લાઈફ સપોર્ટ અને કૃત્રિમ પોષણ પર હતા.
હરીશ રાણાનો ભાવુક વીડિયો
એઈમ્સમાં લાવતા પહેલા હરીશ રાણાનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં બ્રહ્માકુમારી સંસ્થાના એક દીદી હરીશના કપાળ પર તિલક લગાવીને કહેતા જોવા મળ્યા હતા કે, ‘બધાને માફ કરીને અને બધાની માફી માંગીને સૂઈ જા… ઠીક છે…’ આ વીડિયોએ જોઈને અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.










