![]()
Gujarat HC Verdict: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ અને માનવીય અભિગમ અપનાવતા 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. મેડિકલ રિપોર્ટ અને નિષ્ણાત તબીબોના અભિપ્રાયને ધ્યાને રાખીને કોર્ટે પીડિતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના હિતમાં આ આદેશ આપ્યો છે.
તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ પ્રક્રિયા
મળતી માહિતી અનુસાર, હાઈકોર્ટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજના ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ અને મનોચિકિત્સકની ટીમ પાસે પીડિતાની તપાસ કરાવી હતી. આ રિપોર્ટના આધારે કોર્ટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલને તાત્કાલિક ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા આદેશ કર્યો છે. આ જટિલ સર્જરી દરમિયાન નિષ્ણાત ચિકિત્સકો અને એનેસ્થેટિસ્ટની ટીમ હાજર રહેશે તેની ખાતરી કરવા પણ જણાવાયું છે.
આ પણ વાંચો: હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST ન ગણી શકાય: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજ્ય સરકારને બાળકની જવાબદારી લેવા આદેશ
અદાલતે બાળકના કલ્યાણ પર વિશેષ ભાર મૂકતા સ્પષ્ટ કર્યું છે કે, જો પીડિત પક્ષ બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2005 હેઠળ બાળકની તમામ જવાબદારી સ્વીકારવી પડશે. આમાં તબીબી સહાય અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.
આ સમગ્ર મામલાની વિગત મુજબ, 13મી માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગરના મૂળી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 61(2)(i), 64(1) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના પરિવારે ગર્ભપાતની પરવાનગી માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.










