Tiger Story: ગુજરાતમાં આખરે વાઘનું પુનરાગમન થતાં ઉત્સાહનો માહોલ છે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં એક યુવાન નર વાઘે પોતાનો વસવાટ બનાવ્યો છે. પરંતુ, આ સફળતાની ગાથા વચ્ચે ગુજરાતની વન્યજીવ સંરક્ષણની યાદોમાં એક દર્દભરી ઘટના પણ જોડાયેલી છે અને તે છે વર્ષ 2019ની. જી હા, વર્ષ 2019માં પણ ગુજરાતમાં વાઘ આવ્યો હતો. જોકે, તે ગુજરાતમાં લાંબો સમય ટકી શક્યો નહતો.
2019માં લુણાવાડાના જંગલમાં જોવા મળ્યો હતો વાઘ
વર્ષ 1985 પછી પ્રથમવાર કોઈ વાઘ ગુજરાતની ધરતી પર આવ્યો હોય, તેવો સંકેત 2019માં મળ્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા જંગલ વિસ્તારમાં એક સ્કૂલ ટીચર મહેશભાઈ મહેરાએ સાંજે પરત ફરતી વખતે રોડ ક્રોસ કરી રહેલા વાઘની તસવીર પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. વન વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હતી. RFO રોહિત પટેલ સહિતના અધિકારીઓએ વાઘના વાળ અને પગના નિશાન મેળવીને તસવીરો સાચી હોવાની પુષ્ટિ કરી હતી.

12 જેટલા ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા હતા
વાઘ આવ્યો હોવાની જાણકારીની પુષ્ટિ થતાં આસપાસના ગઢ, બોરીઆ, શેખપુર જેવા 12 જેટલા ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા હતા અને જંગલમાં પ્રવેશ ન કરવાની સૂચના અપાઈ હતી. સાથે જ વાઘનું પગેરું મેળવવા માટે નાઇટ વિઝન ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા.

શિક્ષકની વાતનો કોઈ વિશ્વાસ કરતું ન હતું
શિક્ષક મહેશભાઈ મહેરાએ જણાવ્યું હતું કે તેઓ અને અન્ય સ્થાનિકોએ અગાઉ પણ વાઘને જોયો હતો, પણ કોઈ વિશ્વાસ કરતું ન હતું. આ તસવીરથી ગુજરાતની વાઘના આગમનની આશા સજીવન થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતના રતનમહાલના જંગલમાં ‘ટાઈગર’નું પુનરાગમન! કેમેરામાં થયો કેદ, વન વિભાગમાં ખુશીનો માહોલ
6 મહિના બાદ કંતારના જંગલમાં મૃતદેહ
વર્ષો બાદ આવેલા આ વાઘની હાજરી લાંબો સમય ટકી નહીં. અંદાજે છ એક માસ સુધી વાઘ મહીસાગરના જંગલમાં હોવાની વાત વન વિભાગ જાણતું હતું, પણ બે દિવસ પછી જ્યારે કંતારના ગાઢ જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો, ત્યારે સમગ્ર રાજ્યમાં આઘાત ફેલાયો હતો. વન વિભાગના અધિકારીઓ જે વાઘની સુરક્ષાની વાતો કરતા હતા, તેમના દાવા પોકળ સાબિત થયા હતા. મુખ્ય વન સંરક્ષકને આ સમાચાર મળતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃત રાષ્ટ્રીય પ્રાણી પ્રત્યેની તેમની લાગણી જોઈને સ્થાનિકોની આંખો પણ ભીની થઈ હતી.

વન વિભાગ પર બેદરકારીના આક્ષેપો
વાઘના મૃત્યુ બાદ વન વિભાગના વ્યવસ્થાપન પર અનેક ગંભીર સવાલો ઊભા થયા હતા. છ મહિનાથી વાઘ જંગલમાં હતો તે જાણ હોવા છતાં મીડિયાને પણ તેની જાણકારી આપવામાં નહોતી આવી. મૃતદેહ મળ્યા બાદ પણ તુરંત માહિતી કેમ છુપાવવામાં આવી? શું વન ખાતું સમગ્ર હકીકતો પર પડદો પાડવા માંગતું હતું? આટલા વર્ષો બાદ આવેલા એકમાત્ર વાઘની સુરક્ષા કેમ ન કરી શકાય? આ દુર્ઘટનાએ ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યા હતા. બધાની નજર વાઘના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ પર હતી.
વાઘના મોત અંગે વન વિભાગનો દાવો
મહીસાગરમાં વાઘના દુઃખદ મોત બાદ વન વિભાગે તેની પાછળનું કારણ જાહેર કર્યું હતું. પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટના આધારે વન વિભાગે જણાવ્યું હતું કે વાઘના મૃત્યુનું કારણ ભૂખમરો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, વાઘને કોઈ ખેતરની આસપાસ લગાવેલી વીજળીના કરંટવાળી વાડ(Electric Fence)ને સ્પર્શ કરવાના કારણે તેના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે વાઘ લાંબા સમય સુધી શિકારની શોધમાં ચાલી શકતો નહોતો. પરિણામે, ખોરાક ન મળવાને કારણે આખરે તેનું કરુણ મૃત્યુ થયું હતું.
રતનમહાલમાં ‘સલામત’ વાઘની સફળતા
વર્ષ 2019ની ઘટનાથી વિપરીત, હાલમાં દાહોદના રતનમહાલમાં જે યુવા નર વાઘે કાયમી વસવાટ બનાવ્યો છે, તેના મોનિટરિંગ અને સંરક્ષણ માટે વન વિભાગ સતત તત્પર છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વાઘ ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય રોકાયેલો વાઘ બનીને વન વિભાગની 2019ની ભૂલોમાંથી શીખવાની સકારાત્મક નિશાની આપી રહ્યો છે. ગુજરાત આજે સિંહ-દીપડા અને વાઘનો ત્રિવેણી સંગમ બની રહ્યું છે.










