![]()
Budget 2025: સરકારે આ નાણાકીય વર્ષમાં પોતાની સૌથી મોટી યોજનાઓ પર 40% બજેટ જ ખર્ચ કર્યું છે. આ એ યોજનાઓ છે જેના માટે લગભગ 500 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ યોજનાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ખર્ચ કરવાનો છે. આ યોજનાઓમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારો, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના સામેલ છે. આ ઉપરાંત મનરેગા અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પર પણ 40% જ ખર્ચ થયો છે. આમ 2025ના બજેટની 60% રકમ 9 મહિને પણ નથી વપરાઈ.
કૂલ 53 યોજનાઓમાંથી 6 યોજનાઓ પર 40%થી ઓછો ખર્ચ
કુલ 53 યોજનાઓમાંથી 6 યોજનાઓ પર 40%થી ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે. ચાર યોજનાઓમાં 40 થી 50%, 15 યોજનાઓમાં 51 થી 75%, 10 યોજનાઓમાં 90 થી 100% અને 6 યોજનાઓમાં 100% ખર્ચ થયો છે. બાકીની 47 યોજનાઓ પર રિવાઈઝ્ડ એસ્ટિમેટ બજેટ એસ્ટિમેટથી ઓછું છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે 850 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 150 કરોડ ખર્ચ થયા છે.
આ યોજનાઓ માટે 5 લાખ કરોડ રૂપિયાનું બજેટ
જો 53 યોજનાઓ પર કુલ ખર્ચની વાત કરીએ તો તે 3.8 કરોડ રૂપિયા છે. આ યોજનાઓ માટે 5 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે કુલ બજેટનો 41.2% ભાગ હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, વોટર મેનેજમેન્ટ, પીએમ ઈ-બસ સેવા, ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન, જળ જીવન મિશન, કમ્પ્યુટરાઈઝેશન ઓફ પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી અને અન્ય ઘણી યોજનાઓ પર બજેટનો માત્ર 40% ટકા ખર્ચ કરવામાં આવ્યો છે. આમાંથી 6 યોજનાઓ એવી પણ છે જેના માટે માત્ર 10% જ બજેટ રિલીઝ થયુ છે.
જળ જીવન મિશન હેઠળ 16 કરોડ ઘરોને પાણી પૂરુ પાડ્યું
આ બજેટ સત્ર દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે શનિવારે જણાવ્યું હતું કે, દેશમાં જળ જીવન મિશન (JJM) હેઠળ અત્યાર સુધીમાં 16 કરોડ ઘરોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. પાટીલે અહીં કેન્દ્રીય બજેટ અંગે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમૃત સરોવર યોજના અને JJM ઐતિહાસિક સાબિત થઈ રહી છે અને અમૃત સરોવર યોજના હેઠળ દેશભરમાં 69 હજારથી વધુ તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે ભૂગર્ભજળના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો: અમેરિકા સાથે ભારતે કરી ‘ગેમ’! ટેરિફ પણ હટી ગયા અને રશિયા સાથે મિત્રતા પણ જળવાશે?
તેમણે આગળ જણાવ્યું કે, JJM માટે 67,300 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 16 કરોડ ઘરોને નળ દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 4-5 કરોડ વધુ ઘરોને પાણી પૂરું પાડવામાં આવશે તથા આ યોજનાને વર્ષ 2028 સુધી લંબાવવામાં આવી છે. આનાથી દેશની આશરે 9 કરોડ માતાઓ અને બહેનોનો આશરે 4.5 કરોડ કલાકનો સમય બચ્યો છે. આ સાથે જ 24 લાખ 80 હજાર મહિલાઓને પાણીની ગુણવત્તા ચકાસવા માટે તાલીમ આપવામાં આવી છે અને 8 લાખ મહિલાઓએ પોતાના રિપોર્ટ પરીક્ષણ પોર્ટલ પર અપલોડ કર્યા છે.










