![]()
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા સોલ્યુશન-ઓરિએન્ટેડ સ્કિમ્સમાં નવા રોકાણને તાત્કાલિક બંધ કરવાના નિર્ણયથી ચિલ્ડ્રન અને રિટાર્યમેન્ટ ફંડ્સમાં ૮,૫૦,૦૦૦થી વધુ વર્તમાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી)ને અવરોધિત કરવાની તૈયારી છે.
આ કેટેગરી હાલમાં ૪૧ સ્કિમો અને ૬૨ લાખ ફોલિયોમાં રૃ.૫૭,૦૦૦ કરોડથી વધુ મેનેજ કરે છે. જાન્યુઆરીમાં, રોકાણકારોએ એસઆઈપી દ્વારા આ સ્કિમોમાં રૃ.૨૭૭ કરોડનું કુલ રોકાણ કર્યું હતું. એક વખતના રોકાણ સહિત ચોખ્ખું રોકાણ રૃ.૩૪૨ કરોડનું હતું. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ધરખમ ફેરફારોના ભાગરૃપ આ ફંડ કેટેગરી બંધ કરવાના સેબીના નિર્ણયથી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. કેમ કે જુલાઈ ૨૦૨૫ના કન્સલ્ટેશન પેપરની જાહેરાતનો આ કોઈ ભાગ નહોતું.
મોટાભાગના મોટા ફંડ હાઉસો એચડીએફસી, યુટીઆઈ, એસબીઆઈ, ટાટા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને નિપ્પોન ઈન્ડિયા આ કેટેગરીઝમાં મોટી એયુએમ-એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડ એક્ઝિક્યુટિવોનું કહેવું છે કે, ઉદ્યોગની એકંદર એસેટ્સની રીતે આ કેટેગરી ભલે તુલનાત્મક નાની છે, પરંતુ આ એસેટ્સને વળગી રહેનારો પણ રોકાણકાર વર્ગ છે. જે નોંધનીય ફોલિયો અને એસઆઈપીઝ દાયકાઓથી ધરાવે છે.
એ સ્પષ્ટ છે કે, ચિલ્ડ્રનસ અને રિટાયર્મેન્ટ ફંડોમાં રોકાણકારો લાંબાગાળાની હિસ્સેદારો તરીકે રહે છે. આ સ્કિમોમાં લોક-ઈન અને લક્ષ્યાંક લક્ષી પોઝિશન શિસ્તતામાં રહેવામાં મદદરૃપ રહે છે. સર્કયુલર મુજબ આ સ્કિમોને આ પ્રકારની એસેટ ફાળવણી ધરાવતી અન્ય સ્કિમો સાથે નિયામક મંજૂરીને આધીન મર્જ કરવાની રહેશે. સમીક્ષકોનું કહેવું છે કે, સ્કિમો બંધ થવાથી અને તેને મર્જ કરવાનું તમામ વર્તમાન રોકાણકારો માટે લાભદાયી રહેશે નહીં.
ડિસ્ટ્રીબ્યુટરોએ આ સ્કિમો ચોક્કસ રિટાર્યમેન્ટ અને ચિલ્ડ્રન સોલ્યુશન્સ તરીકે વેચી છે. જો રિટાયર્મેન્ટ ફંડને લાર્જ કેપ, ફ્લેક્સી કેપ અથવા હાઈબ્રિડ સ્કિમ સાથે મર્જ કરવામાં આવશે તો ઓરિજનલ ઉદ્દેશ બદલાઈ જશે. રોકાણકારો પણ તેમને પૂછશે કે જે સોલ્યુશન-ઉકેલ માટે તેમણે સાઈન કર્યું છે એનું શું થયું એમ આ એક્ઝિક્યુટિવોનું કહેવું છે. નિયામક તંત્રએ સોલ્યુશન-ઓરિએન્ટેડ ફંડ્સના સ્થાને નવી કેટેગરી દાખલ કરી છે. લાઈફ સાયકલ ફંડ, જે માળખાકીય રીતે અલગ છે.










