– જનતા ચોકડી પાસે ઓવરબ્રિજનું પણ નિરીક્ષણ કરાયું
– કોન્ટ્રાક્ટરને રોડની મજબૂતાઈમાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં કરવા જરૂરી સૂચના અપાઈ
આણંદ : આણંદની જનતા ચોકડી પાસે રેલવે ઓવરબ્રિજ સહિત મનપા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ કામોના નિરીક્ષણ બાદ કોન્ટ્રાક્ટરને રોડની મજબૂતાઈમાં કોઈ બાંધછોડ નહીં કરવા ડે.મ્યુનિ. કમિશનરે સૂચનાઓ આપી છે.
આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરે મનપાના સિટી એન્જિનિયર સાથે જનતા ચોકડી પાસેના રેલવે ઓવરબ્રિજની સ્થળ મુલાકાત કરી જરૂરી વિગતો મેળવી હતી. મનપા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ કામોનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારે આણંદ- વિદ્યાનગર સ્થિત વિનુકાકા માર્ગ ઉપર આવેલી સોસાયટીઓમાં ૧.૫ કિલોમીટરના આરસીસી રોડના કામમાં કોન્ટ્રાક્ટરને રોડની મજબૂતાઈમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા જરૂરી સુચના આપી હતી અને આરસીસી રોડ મજબૂત અને ટકાઉ બનાવવા માટે જણાવ્યું હતું.
આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલ ગાર્ડનથી બાકરોલ ગેટ સુધી ૭૦૦ મીટરના આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી બાકી છે અને આ રસ્તા ઉપર ફનચરનું કામ બાકી છે. ત્યારે આ રસ્તાનું નિરીક્ષણ કરાયું હતું. ત્યારે વહેલામાં વહેલી તકે આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારે મનપા વિસ્તારમાં ચાલતા તમામ કામોનું તબક્કાવાર નિરીક્ષણ કરવામાં આવશે ત્યારે કોન્ટ્રાક્ટર શ્રેષ્ઠ અને ટકાઉ કામગીરી કરે તે જરૂરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.