અમદાવાદ,બુધવાર,25 માર્ચ,2025
અમદાવાદના સી.જી.રોડ ઉપર આવેલા સુપરમોલના ત્રીજા માળે કૃણાલ
જવેલર્સમાં બુધવારે બપોરે ઈલેકટ્રીક બોર્ડમાં શોટ સરકીટ થવાથી આગ લાગી હતી. ફાયર
વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી કાચ તોડી દુકાનમાં પ્રવેશ કરી આગ હોલવી હતી. દરમિયાન
દુકાનમાં રખાયેલા ૧૦ કિલો સોના સહીત અંદાજે ૨૦ કરોડનો માલસામાન સલામત બહાર કાઢી
સોનુ માલિક ભાવેશ સોનીને પરત કર્યુ હતુ. ફાયર વિભાગની કામગીરી સમયે ઉપરના માળે
વિડીયો ઉતારી રહેલા લોકોને પોલીસે ખદેડીને દુર કર્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ બુધવારે બપોરે ચાર કલાકના
સુમારે સી.જી.રોડ ઉપર આવેલા સુપરમોલ ખાતે ત્રીજા માળે આવેલા કૃણાલ જવેલર્સમાં આગ
લાગતા નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતેથી ત્રણ વાહન સાથે ડિવીઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલ
ઘટના સ્થળે પહોંચ્યા હતા.આગને કાબૂમાં લેવા ટોરેન્ટ પાવરની ટીમ સાથે પોલીસની મદદ
લેવામાં આવી હતી.ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા પાવર સપ્લાય બંધ કરાવીને આગ હોલવવાની
કામગીરી શરુ કરવામાં આવી હતી.ફાયર વિભાગની ટીમે અંદાજે એક કલાકના સમયમાં જવેલર્સની
દુકાનમાં લાગેલી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ બિલ્ડિંગમાં નવા ફાયર સેફટી
ઈકવીપમેન્ટ લગાવવામાં આવ્યા હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.ચારમાળના સુપરમોલમાં ત્રીજા માળે આવેલી દુકાનમાં આગ લાગતા લોકો ધુમાડાથી બચવા
ઉપરના માળે દોડી ગયા હતા.