Shashi Tharoor And K Muraleedharan : કોંગ્રેસ નેતા શશિ થરૂરે ‘ઓપરેશન સિંદૂર’ બાદ વારંવાર મોદી સરકારના વખાણ કરતા કોંગ્રેસને વાંધો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.મુરલીધરને ફરી શશિ થરૂર પર નિશાન સાધ્યું છે. આજે (20 જુલાઈ) તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘જ્યાં સુધી શશિ થરૂર રાષ્ટ્રીય સુરક્ષા અંગે પોતાનું વલણ ન બદલે, ત્યાં સુધી તેમને તિરુવનંતપુરમમાં કોંગ્રેસના કોઈપણ કાર્યક્રમમાં બોલાવાશે નહીં.’
‘શશિ થરૂર હવે અમારા રહ્યા નથી’
મીડિયા રિપોર્ટ મુજબ મુરલીધરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, ‘શશિ થરૂર હવે અમારા રહ્યા નથી. તેઓ કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ના સભ્ય જરૂર છે, પરંતુ તાજેતરના નિવેદનો અને વલણના કારણે થરૂરે પાર્ટીની આંતરિક એકતા પર સવાલો ઉભી કરી દીધા છે. તેઓ હવે અમારી સાથે નથી, તેથી તેમનો બહિષ્કાર કરવાની વાત જ બનતી નથી.’ આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે મીડિયાએ મુરલીધરનને શશિ થરૂરના તે નિવેદન પર પ્રશ્ન કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે ‘દેશ પહેલા આવે છે અને પાર્ટી દેશને વધુ સારું બનાવવાનું માધ્યમ છે.’
આ પણ વાંચો : ‘ભારત પર કોઈ શક્તિ દબાણ ન લાવી શકે’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન
શશિ થરૂરે શું કહ્યું હતું ?
શશિ થરૂરે કોચ્ચીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મેં ભારત-પાકિસ્તાનના ઘર્ષણ મામલે ભારતીય સેના અને કેન્દ્ર સરકારનું સમર્ન કર્યું હતું, ત્યારબાદ અનેક લોકો મારી ટીકા કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, હું મારા નિવેદન પર અડગ રહીશ, કારણ કે મને લાગે છે કે, મારું નિવેદન દેશહિતમાં યોગ્ય છે. જ્યારે કોઈ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં અન્ય પાર્ટીઓ સાથે સહયોગની વાત કરે છે, ત્યારે પોતાની પાર્ટીને તે વાત વિશ્વાસઘાત જેવી લાગે છે, જે એક મોટી સમસ્યા બની જાય છે.
મુરલીધરને અગાઉ પણ થરૂર પર નિશાન સાધ્યું હતું
કોંગ્રેસ નેતા મુરલીધરને અગાઉ પણ થરૂર પર નિશાન સાધ્યું હતું. વાસ્તવમાં થરૂરે જનમત સર્વે શેર કર્યો હતો, જેમાં યુડીએફ દ્વારા કેરળનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવામાં આવ્યો હતો. તે વખતે મુરલીધરને કહ્યું હતું કે, ‘થરૂરે પહેલા નિર્ણય કરવો જોઈએ કે, તેઓ કંઈ પાર્ટીના છે.’ કોંગ્રેસમાં થરૂરનો વિવાદ ત્યારે વધ્યો જ્યારે તેમણે ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા ગાંધીની ટીકા કરતો મલયાલમ સમાચાર પત્રમાં લેખ લખ્યો હતો. આ મામલે પણ મુરલીધરને નિશાન સાધી કહ્યું હતું કે, ‘જો થરૂર કોંગ્રેસમાં અસ્વસ્થતા અનુભવવી રહ્યા હોય તો તેઓ પોતાનો રાજકીય રસ્તો સ્પષ્ટ કરવો જોઈએ.’
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશ : કાવડ યાત્રામાં તોડફોડ કરનારાઓની ખેર નહીં, સીએમ યોગીએ આપી ચેતવણી