Conversion Racket In UP: ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મોટા ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યાનુસાર, આ ગેંગે કથિત રીતે 97 મહિલાઓને ફસાવી હતી, જે ગુમ થવાના અહેવાલ છે. આ મામલાની ગંભીરતાને જોતા ગુપ્તચર એજન્સીઓ અને ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ ટીમોએ તપાસ શરૂ કરી છે.
ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ કેવી રીતે થયો?
અહેવાલો અનુસાર, ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી ઉમર ગૌતમની આગ્રાથી ધરપકડ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે ઉમર ગૌતમે અલીગઢમાં પણ ધર્માંતરણનું નેટવર્ક ફેલાવ્યું હતું. માર્ચ 2025માં અલીગઢના સદર પોલીસ સ્ટેશનમાં બે સગી બહેનોના ગુમ થવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને સોશિયલ મીડિયા પર એક બહેનનો ફોટો મળ્યો, જેમાં તે AK-47 સાથે જોવા મળી હતી. આ તસવીરે તપાસને નવો વળાંક આપ્યો અને ગેરકાયદે ધર્માંતરણના સંગઠિત નેટવર્કના સંકેતો મળ્યા. સૂત્રોના જણાવ્યાનુસાર, બંને બહેનોને કથિત રીતે બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું અને કોલકાતાની મુસ્લિમ બહુમતીવાળી વસાહતમાં છુપાયેલી હતી.
ગેંગ નેટવર્ક અને મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ સોશિયલ મીડિયા, ડાર્ક વેબ અને વિવિધ મોબાઇલ એપ દ્વારા યુવતીઓને ફસાવી રહ્યા હતા. ગેંગના સભ્યો પહેલા યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવતા હતા પછી તેમનું બ્રેઈનવોશ કરીને તેમને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતા હતા. આ નેટવર્કનું સંચાલન એટલું ગુપ્ત હતું કે વિવિધ પોલીસ ટીમો પણ એકબીજાની ગતિવિધિઓથી અજાણ હતી.
ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રાજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, ‘આ ગેંગે સેંકડો લોકોનું ગેરકાયદે ધર્મ પરિવર્તન કર્યું છે. ગેંગના સભ્યો આયેશા, અલી હસન ઉર્ફે શેખર રાય અને મોહમ્મદ અલી છે. આયેશા પર વિદેશથી ભંડોળ એકત્ર કરવાનો અને ગેંગને પૈસા વહેંચવાનો આરોપ છે, જ્યારે અલી હસન મોટા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરતો હતો.
97 મહિલાઓના ગુમ થવાનું રહસ્ય
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અલીગઢ અને આસપાસના વિસ્તારોમાંથી 97 મહિલાઓ ગુમ છે, જેમને આ ધર્માંતરણ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાની શંકા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આમાંથી ઘણી મહિલાઓને લાલચ આપીને અથવા બળજબરીથી ધર્માંતરણ માટે લઈ જવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં, મહિલાઓને નિકાહ માટે દબાણ કરવામાં આવ્યું હતું. ગુપ્તચર એજન્સીઓ હવે આ મહિલાઓને શોધી કાઢવા અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે સઘન તપાસ કરી રહી છે.