Image Source: Twitter
Mumbai Murder Case: મુંબઈમાં હિન્દી ફિલ્મ દ્રશ્યમ સ્ટાઈલમાં મર્ડરનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં મૂળ પાલઘર જિલ્લાની રહેવાસી મહિલાએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની ક્રૂર હત્યા કરી નાખી છે. ત્યારબાદ કોઈને શંકા ન જાય એટલા માટે તેણે પતિના મૃતદેહને ઘરમાં લગાવેલી ટાઈલ્સ ખોદીને દફનાવી દીધો. પછી તેના ઉપર ફરી ટાઈલ્સ લગાવી દીધી.
દ્રશ્યમ સ્ટાઈલમાં મર્ડર
નાલાસોપારામાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડની મદદથી પોતાના જ પતિની હત્યા કરી હતી. એટલું જ નહીં તેણે ફિલ્મ ‘દ્રશ્યમ’ની જેમ પતિનો મૃતદેહ ઘરના રુમમાં જ દાટી દીધો હતો અને તેના પર ટાઈલ્સ પણ લગાડી દીધી હતી. સોમવારે, પેલ્હાર પોલીસે તહસીલદારની હાજરીમાં ટાઇલ્સ ખોદીને ડેડ બોડી બહાર કાઢી હતી. હાલમાં પત્ની અને બોયફ્રેન્ડ ફરાર હોવાથી પોલીસ તેમને શોધી રહી છે.
વિજય ચૌહાણ છેલ્લા 15 દિવસથી અચાનક ગુમ હતો
નાલાસોપારા-ઈસ્ટના ધાનિવ બાગમાં ઓમ સાઈ વેલ્ફેર સોસાયટીના રાશિદ કમ્પાઉન્ડમાં 32 વર્ષનો વિજય ચૌહાણ તેની પત્ની 28 વર્ષની ચમન દેવી ચૌહાણ અને ત્રણ વર્ષની દીકરી સાથે રહેતો હતો. તે મજૂરીનું કામ કરતો હતો. વિજય ચૌહાણ છેલ્લા 15 દિવસથી અચાનક ગુમ થઈ ગયો હતો. વિજયના બે ભાઈઓ બિલાલપાડામાં રહે છે. તેણે વિજયની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ માહિતી નહોતી મળી. વિજય કામ માટે બહાર ગયો હોવાનું તેની પત્ની ચમન દેવી તેને કહી રહી હતી.
બે ભાઈઓને નવી ટાઈલ્સ જોઈ શંકા ગઈ
જ્યારે વિજય ચૌહાણ ગુમ હતો, ત્યારે તેની પત્ની ચમન દેવી બે દિવસ પહેલા 20 વર્ષના પાડોશી મોનુ શર્મા સાથે ભાગી ગઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ચમન દેવી અને મોનુ શર્મા છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમ સંબંધમાં હતા. દરમિયાન, સોમવારે સવારે, જ્યારે વિજય ચૌહાણના બે ભાઈઓ તેને શોધવા તેના ઘરે ગયા, ત્યારે તેઓએ ફ્લોર પર કેટલીક નવી ટાઇલ્સ જોઈ હતી. શંકાસ્પદ, તેમણે તે કાઢી નાખી અને અંદર એક બનિયાન મળી આવી અને તેમાંથી ખુબ દુર્ગંધ આવવા લાગી હતી. આનાથી તેમને શંકા ગઈ કે હત્યા કરીને ડેડ બોડીને જમીનમાં દાટી દેવામાં આવી છે અને તેમણે તાત્કાલિક પેલ્હાર પોલીસને ફોન કર્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી અને ડેડ બોડી બહાર કાઢવા માટે તહસીલદારની મદદ લીધી હતી. જો કે, તહસીલદાર પાલઘરમાં એક કાર્યક્રમમાહાજર હોવાથી, તેઓ સાંજે પાંચ વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ, પોલીસે સાંજે 6:00 વાગ્યે ડેડ બોડી ખોદીને કાઢી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.
આ પણ વાંચો: નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો
જયારે કે પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વંકોટીએ માહિતી આપી હતી કે, ‘પોલીસને શંકા છે કે હત્યા કેસમાં અન્ય કોઈ વ્યક્તિ પણ સંડોવાયેલી છે. અમે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે જે.જે હોસ્પિટલમાં મોકલી દીધી છે. તેમ જ ફરાર થયેલાં ચમનદેવી અને તેના બોયફ્રેન્ડની શોધ શરૂ કરવામાં આવી છે.’