Asaram Gets Big Relief: દુષ્કર્મ કેસ મામલે આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે (25 માર્ચ, 2025) સુનાવણી હાથ ધરાઈ હતી. જણાવી દઈએ કે, આસારામે છ મહિનાના કાયમી જામીન માગ્યા હતા.
આસારામના વચગાળાના જામીન 31 માર્ચે પૂરા થઈ રહ્યા છે, જે મેડિકલ ગ્રાઉન્ડ પર લેવાયા હતા. જામીનને આગળ વધારવા કે નહીં તેના પર ગુજરાત હાઈકોર્ટના બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે ત્રણ મહિના માટે જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો નિર્ણય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટના જજ એ.એસ.સુપેહિયાને આસારામની જામીન અરજી રિફર કરાઈ હતી. બપોર બાદ તેના પર જજ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જજ ઇલેશ વોરા ત્રણ મહિનાના જામીન આપવાના સમર્થનમાં હતા, જ્યારે જજ સંદીપ ભટ્ટ વિરોધમાં હતા.
સુપ્રીમ કોર્ટ અને રાજસ્થાન હાઇકોર્ટે 31 માર્ચ સુધીના વચગાળા જામીન આપ્યા હતા
આ અગાઉ ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર દુષ્કર્મના કેસ મામલે 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જેમાં કોર્ટે પોતાના અનુયાયીઓને ન મળવાની આસારામને સૂચના આપી હતી. ત્યારબાદ 14 જાન્યુઆરીએ જોધપુર દુષ્કર્મ કેસ મામલે રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.