Pune Daund Violence: પૂણેના દૌંડ ગામમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દૌંડ સ્થિત યવત રેલવે સ્ટેશન પરિસરના નીલકંઠેશ્વરમાં સ્થિત શિવાજી મહારાજની પ્રતિમાની તોડફોડ બાદ દૌંડમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતાં. દેખાવો બાદ વિવાદિત પોસ્ટ વાઈરલ થતાં બંને જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ થયુ હતું. પૂણે ગ્રામ્ય SPએ કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. યવત ગામમાં હાલ માહોલ શાંત પડ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારા બાદ મામલો બિચક્યો હતો. ટોળાએ પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી હતી.
શિવાજી મહારાજની પ્રતિમાને ખંડિત કરવા બદલ હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. બાદમાં તેના વિરોધમાં ભાજપ ધારાસભ્ય ગોપીચંદ પડલકરે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી યવતમાં રેલી કાઢી હતી. ત્યારબાદ તુરંત યવતના એક ધાર્મિક સ્થળે પથ્થરમારો થયો હોવાની ઘટના બની હોવાના અહેવાલ મળ્યા હતાં. તે દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત ભડકાઉ પોસ્ટ વાઈરલ થતાં આ ક્ષેત્રમાં તણાવ સર્જાયો હતો.
સોશિયલ મીડિયાના લીધે થઈ હિંસા
મીડિયા રિપોર્ટ અનુસાર, એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે બે જૂથો વચ્ચે હિંસા થઈ હતી. સોશિયલ મીડિયા પોસ્ટ પર કથિત ભડકાઉ વાતો કરવામાં આવી હતી. જેના લીધે પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા ટિઅર ગેસના ગોળા છોડ્યા હતા તેમજ લાઠીચાર્જ પણ કર્યો હતો. અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. પોલીસે અમુક લોકોની ધરપકડ કરી હતી. પોલીસે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સુરક્ષા દળની વધારાની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાની શોધ શરૂ કરી છે, લોકોને શાંતિ જાળવવા અપીલ છે.